પ્રાર્થે પ્રકાશ પૃથિવી નવચેતનાના
માંગલ્યમંત્ર કરુણાભર કૈંક ઝંખે,
વ્યાપે અશાંતિથર ક્રંદન કાળજાને
કોરી રહે, પથપ્રદર્શન કાજ ત્યારે
એકાદ દૂત પરમાત્મ તણા પધારી
રેલે પ્રકાશકિરણો જડમાં સુધાને
સીચીં સજીવન કરે અવની બધીયે;
એ દિવ્યદૂત પ્રકટી સ્વગૃહે સિધાવ્યા.
ગાંધી ગયા નવ પરંતુ મટી સમસ્યા
સંઘર્ષ-શોષણ-કુંસપ-અનીતિ કેરી,
ના સ્વાર્થતાંડવ શમ્યાં, કટુ અટ્ટહાસ્યો
વિશ્વે કરે અસુર માનવમાં રહેલો.
નૌકા જતી જલધિમધ્ય અનેક આગે
ભાસે ન કિન્તુ નજદીક મહાકિનારો