ભલે અમારા મારગમાં હો અનંતશી જવાળા,
ધપીએ અમે એના પરથી, ફૂલ જાણી પ્યારાં !
એમને ફૂલ ગણી પ્યારાં !
ભલે વેદના વર્ષા વરસે, ચિતાની ચપલા
તડૂકે કરી તાંડવ, તોયે આશ રહે અચલા !
અમારી આશા રહે અચલા !
પર્વત હો પીડાનાં છો ને પાર વિનાનાં પંથ,
પ્રસ્વેદ પડે યંત્રણ થકી, નમે તોય ના કંઠ,
અમારા નમે તોય ના કંઠ.
દાવાનલ છો દઝાડતાં, ને ઝંઝાવાત થતા,
પુરુષાર્થની કલાંત બને ના છતાં કરુણ કથા.
યુગોની છતાં કરુણ કથા.
મંઝીલ વિના મનોરથોની માળા મ્લાન ન થાય,
સિતાર મનની નિર્જનમાં કે પુરમાં મંગલ ગાય !
અમારે જીવન ઉત્સવ થાય !
- શ્રી યોગેશ્વરજી