આઝાદીની પાંચાલીનાં ખેંચાઈ રહ્યાં ચીર,
ઊઠો, આવો સદ્ય વહારે, પ્રેમી પાંડવ વીર !
દુર્યોધન ને દુઃશાસનની જોડી છે જામી,
કૌટીલ્ય મહીં ખરે એમના નથી રહી ખામી.
આવો ચક્ર સુદર્શનધારી ! શઠને સંહરવા,
આઝાદીની પાંચાલીને બેઠા જે હરવા !
અમાપ બળ મેલો એનામાં, લેશ ન એ હાલે,
થાકી જાય દુરાચારી પણ એ ફૂલે-ફાલે.
દર્દ નસેનસમાં વ્યાપ્યાથી થઈ અતીવ અધીર,
આવો આઝાદીના રક્ષક, શમાવવાને પીર,
રણચંડીશી રણે ચઢી એ ઝઝૂમતી જડ સાથ,
શ્વાસ હશે ત્યાં લગ તો કોઈ ભરી ન શકશે બાથ.
પરંતુ પુત્રો કરોડ એના ઉમટો હે રણવીર,
નામર્દ બની બેસાયે ના પડયે દેશ પર ભીડ.
- શ્રી યોગેશ્વરજી