લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૨૧ ફેબ્રુ. ૧૯૪૧
વ્હાલા ભાઈ,
પત્ર ધાર્યા કરતાં બહુ મોડો લખાયો પણ કાંઈ નહિં. થયું એમ કે જે દિવસે તમે અહીં આવવાના હતા તેને બીજે દિવસે જ મને પત્ર મળ્યો. જે પ્રમાણે મારે નડિયાદ જવાનું થયું. ત્યાંથી બીજે દિવસે ઘેર ગામમાં ગયો, અને અઠવાડિયું રહીને કોલેજ અહીં પાછો આવ્યો છું.
ભિક્ષુ અખંડાનંદને મેં ૨૦-૨૨ લેખ મોકલ્યા હતા. જે વાંચીને તેમણે મને મળવા બોલાવ્યો. લેખ બદલ તે કોઈને પણ પૈસા આપતા નથી છતાં મને પુરસ્કારરૂપે ૧૨૦ રૂ. તેમણે આપ્યા છે. ઈશ્વરની લીલા અપાર છે. જે દિવસે અખંડાનંદનો પત્ર આવ્યો તે દિવસે સવારે મને સખત લાગી આવ્યું હતું. નોકરી વિના રહેવું ને યોગમાર્ગે પણ ના વધવું એવી પરિસ્થિતિ મને અસહ્ય લાગી. મારા મામાએ મને ૧૦૦ રૂ. ભરવા કહ્યું હતું પણ તે લાવવા કયાંથી ? કૃષ્ણે પોતે કહ્યું છે કે - યોગક્ષેમં વહામ્યહમ્. મને થયું કે જો આ શબ્દો સાચા હોય તો તેણે મારું યોગક્ષેમ વહન કરવું જ જોઈએ. ને તે જ દિવસે નડિયાદ જવાનું થયું. જેને જિદગીમાં જાણેલાય નહિ તેની પાસેથી સારી મદદ મળી. ખરેખર, એની શક્તિ અવર્ણનીય છે. જે એને શરણે જાય છે તે એનો જ થઈ રહે છે.
હવે માર્ગ ખુલ્લો છે. માતાએ પણ સમજીને રજા આપી છે. લગ્નની વાત તો પડતી જ મુકાઈ છે. આજે શિવાનંદને પત્ર લખ્યો છે. ઉત્તર આવશે એટલે જણાવીશ. તમારું લગ્નજીવન ઉત્તમ જાય એવા આશીર્વાદ આપું છું. લગ્ન સંસ્થામાં જે પાશવી વૃત્તિનું પોષણ થાય છે તેમાં તમે જકડાઈ નહિ જ જાઓ એવી આશા રાખું છું. રોજ રાતે દિવસને તપાસતા રહો.
બેનની વાત વાંચી. બને તો તેમને દુ:ખ ના પડવા દેતા. તેમને આશ્રય આપજો. ઘેર તેડજો. પણ ‘કામ’ થી દૂર રહેજો. ‘કામ’ માણસને અંધ બનાવે છે, પ્રેમ એને પ્રભુ કરે છે.
ખુલ્લા ખેતરમાં ફરવા જાઓ છો એ કેટલું આનંદદાયક ! 'મા'ને ખોળે આત્મનિવેદન કરતા રહો. પંડ્યા ત્યાં આવ્યા છે ? કદાચ આ પહેલી તારીખે હું ઋષીકેશ જઈશ. પણ પત્ર તો અહીં જ લખશો. સર્વને મારાં વંદન કહેશો. અભ્યાસ ચાલુ રાખશો. ત્યાં કેટલો વખત રહેવાના છો ?