પ્રશ્ન : સાધકે પોતાની સાધનાની શરૂઆત સાકાર સાધનાથી કરવી, કોઈક મંત્ર, મૂર્તિ, રૂપ કે એવા બીજા પ્રતીકને નજર આગળ રાખીને એનું આલંબન લઈને કરવી કે એનો આધાર લીધા વિના ? બંનેમાંથી કયી પદ્ધતિ ઉત્તમ અથવા તો વધારે અનુકૂળ કહી શકાય ?
ઉત્તર : તેનો નિર્ણય તમારે કરવાનો છે. તમારી રૂચિ, વૃત્તિ, યોગ્યતા કે પ્રકૃતિને લક્ષમાં લઈને જે ઠીક લાગે તે સાધનની તમારા આત્મવિકાસને માટે પસંદગી કરીને તમારે તેને પ્રેમ અને વિશ્વાસપૂર્વક વળગી રહેવાની જરૂર છે. તેવી પસંદગી માટે તમને સ્વતંત્રતા છે. તમે પોતે તેવી પસંદગી ના કરી શકો તો કોઈ અનુભવી પુરૂષની સલાહ પણ લઈ શકો છો. કોઈ પણ પ્રકારના પ્રતીકનો આધાર લીધા વિના નિરાકાર સાધનાને માર્ગે આગળ વધવાનું કામ શરૂઆતના સાધકને માટે મુશ્કેલ બની જાય છે. એના મનની સ્થિરતા સારી રીતે નથી થઈ શકતી. એટલા માટે જ માનવની પ્રકૃતિની એ ત્રુટી અથવા તો નબળાઈને લક્ષમાં લઈને શરૂઆતમાં સાકાર સાધનાનો આધાર લેવો અથવા તો કોઈ મંત્ર કે રૂપમાં મન પરોવવું, એવી ભલામણ કરવામાં આવી છે. એટલે પ્રતીકનો આધાર લઈને કરવામાં આવતી સાધના અને પ્રતીકના આધાર સિવાયની સાધના બંને ઉપયોગી છે. તમારે માટે કયી સાધના પદ્ધતિ અનુકૂળ છે તેનો વિચાર તમારે કરી લેવો જોઈએ.
પ્રશ્ન : સાકાર સાધના કરનારે નિરાકાર સાધનામાં પણ પ્રવેશ કરવો જોઈએ એ વાત સાચી છે ? એવા પ્રવેશ વિના સાધનાનો વિકાસ અધૂરો રહી જાય છે એમ કહેવાય છે. તે બાબત તમે શું માનો છો ?
ઉત્તર : એ કથન સંપૂર્ણપણે સાચું નથી અથવા તો રુચિભેદ પર આધાર રાખે છે.
પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : ઈશ્વરના સાકાર દર્શન કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જો કોઈએ સાકાર સાધનાનો આધાર લીધો હોય તો એ સાધનાને એણે કાયમને માટે વળગી રહેવું જોઈએ. એ સાધનાનો આધાર લઈને ઈશ્વર માટેનો પ્રેમ પેદા કરવાથી, ઈશ્વર માટેની લગની લગાડવાથી તથા વ્યાકુળતા જગાવવાથી ઈશ્વર દર્શન શક્ય બનશે. એણે એ સાધનાનો જ આધાર લેવો પડશે. એણે નિરાકાર સાધનામાં પ્રવેશવાની જરૂર નથી. કેમ કે એવો પ્રવેશ એની ઈચ્છાને સંતોષનારો નહિ ઠરી શકે. જેને નિર્વિકલ્પ સમાધિની ઈચ્છા હોય તેને માટે જ પહેલાં સાકાર સાધના અને પછી નિરાકાર સાધનાનું વિધાન કરવામાં આવ્યું છે. બીજાને માટે નહિ.