શ્રી યોગેશ્વરજી કૃત દેશભક્તિના ગીતોનો સંગ્રહ 'હિમાલય અમારો' માં પ્રસ્તુત ગીતો.
1961ની વાત. ભારતની ઉત્તર સીમા સળગી ઊઠી. વરસો અને યુગોથી પ્રશાંત રહેનારી, દેશને માટે દુર્ભેદ્ય દિવાલ જેવી બનેલી, હિમાલયની પુણ્યભૂમિ, એકાએક આવી પડેલા આક્રમણનો શિકાર બની ગઈ. એ તપોભૂમિ હાલી ઊઠી. આક્રમક સૈનિકોના અવરજવરથી ધમધમી ઊઠી. હિમાચ્છાદિત હિમાલયને પાર કરીને, પરદેશી ધાડાં દેશ પર ઉતરી પડ્યાં. પરંતુ એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે, જોત જોતામાં તો દેશ આખો બેઠો થઈ ગયો. દેશભક્તિ કે દેશપ્રેમની એક નવી, જોરદાર લહરી દેશભરમાં ફરી વળી. પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ, એના રંગમાં રંગાયા, ને ટટ્ટાર થયાં. નાની ને ગૌણ વાતો ભૂલાઈ ગઈ. આડવાતો એક તરફ રહી; અને રાષ્ટ્રની સુરક્ષા કે સલામતીની એકમાત્ર વાત, અને અત્યંત અનિવાર્ય વાત, જનતાની આગળ આવીને ઊભી રહી. અથવા તો પ્રધાન બની ગઈ.
વરસો જ નહિ, યુગોથી હિમાલય ભારતનો હતો. એના પર ભારતનું આધિપત્ય હતું. રાજકીય આધિપત્ય તો ખરું જ, પરંતુ સાંસ્કૃતિક આધિપત્ય પણ. ભારતીય સંસ્કૃતિ હિમાલયના પાવન પ્રદેશની સહચરી હતી. એ સંસ્કૃતિ ત્યાં ફાલીફુલીને મોટી થઈ હતી. એ સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથ ત્યાં સાકાર બનેલા. વ્યાસ, શંકરાચાર્ય, ને કાલિદાસે તેની પ્રશસ્તિ કરેલી. એ ભૂમિ યુદ્ધભૂમિ બનીને બીજાના હાથમાં જાય, તે દેશ કેવી રીતે સહન કરી શકે ? દેશમાં નાદ જાગ્યો : હિમાલય અમારો છે, અને દેશવાસી એના, અને એની દ્વારા આખા દેશના સંરક્ષણને માટે સર્વસમર્પણ કરવા કટિબધ્ધ થયા. શૂરતાને સાદ થયો. સમર્પણ ભાવને આહવાન કરવામાં આવ્યું. લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે એનો ઉત્તર આપવા માંડ્યા. સોનું, રૂપિયા, માણસોનો જાણે કે પ્રવાહ ચાલ્યો.
આવે વખતે કવિ, લેખક કે સાહિત્ય પ્રેમીનું કર્તવ્ય શું? દેશદાઝ તો તેના દિલમાં પણ ભરેલી છે. મને થયું કે આવે વખતે શું કરી શકાય ? ઘણું ઘણું કરી શકાય, કલમ પણ તેમાં કામ લાગે, ને પોતાનો ફાળો આપી શકે અને કાવ્યધારા વહેવા માંડી...એ ધારા એટલે જ હિમાલય અમારો.