દ્રૌપદીનું વસ્ત્રાહરણ
શકુનિએ છળકપટયુક્ત પાસા નાખીને દ્યુતમાં દ્રૌપદીને જીતી લીધી એટલે દુર્યોધને વિદૂરને ભલામણ કરી. બીજી રીતે કહીએ તો આદેશ આપ્યો કે, દ્રૌપદીને વહેલી તકે લઈ આવો. એ અમારા ભવનમાં દાસી તરીકે અન્ય દાસીઓની સાથે રહે ને વાસીદું કાઢે તથા બીજા કામો કરે.
વિદૂરે સ્પષ્ટીકરણ કર્યું કે યુધિષ્ઠિરે સંપૂર્ણ હાર્યા પછી જ કૃષ્ણાને હોડમાં મૂકી હોવાથી તે કાર્ય અનુચિત હોવાથી એ દાસી ના થઈ શકે અને એને લાવી પણ ના શકાય; પરંતુ દુર્યોધન ના સમજ્યો. એણે દ્રૌપદીને લાવવાનો આગ્રહ ચાલુ રાખ્યો, અને વિદૂરને ના કહેવાના વચનો કહી નાખીને એ કામ ત્યાં બેઠેલા પ્રાતિકામી નામે સારથીને સોંપ્યું.
પ્રાતિકામી દ્રૌપદી પાસે પહોંચ્યો એટલે એની સઘળી વાતને સાંભળીને દ્રૌપદી બોલી કે સ્વંય હારી ગયેલા યુધિષ્ઠિર મને હોડમાં કેવી રીતે મૂકી શકે ?
દ્રૌપદીની બૌદ્ધિક પ્રતિભા તથા પ્રગલ્ભતાની પ્રતીતિ કરાવનારા એ પ્રશ્નનો પ્રત્યુત્તર એ સભામાં કોઈથી ના આપી શકાયો.
દુર્યોધને દ્રૌપદીને સ્વંય આવીને જે કાંઈ પૂછવું હોય તે પૂછવા જણાવ્યું તો પણ દ્રૌપદી ના આવી એટલે એને લાવવાનું કામ દુર્યોધને દુઃશાશનને સોંપ્યું.
દુઃશાશન પાંડવોના ભવનમાં પહોંચી ગયો. એણે દ્રૌપદીને દ્યુતમાં જીતાઈ ગઈ હોવાથી પોતાની સાથે આવવા અને દુર્યોધનની સેવામાં રહેવા જણાવ્યું.
દુઃખી મનવાળી દ્રૌપદી ત્યાંથી ઊઠીને પોતાના ફીકા મ્લાન મુખને હાથથી લુછી રાજા ધ્રુતરાષ્ટ્રની સ્ત્રીઓની દિશામાં દોડવા લાગી.
દુઃશાશન ક્રોધે ભરાઈને તેની પાછળ દોડ્યો. એણે દ્રૌપદીના કેશને પકડી લીધા, અને એને સભાભવનમાં પ્રવેશ કરાવ્યો.
દ્રૌપદીએ જણાવ્યું કે હું રજસ્વલા છું અને એક વસ્ત્રવાળી હોવાથી સભામાં આવી રીતે લઈ જવું એકદમ અનુચિત છે. છતાં પણ એણે માન્યું નહીં.
દુઃશાશને જણાવ્યું કે તું રજસ્વલા હોય, એક વસ્ત્રવાળી હોય કે વસ્ત્ર વગરની હોય, પરંતુ દ્યુતમાં જીતાઈને દાસી બની છે. દાસીના વસ્ત્રો તો સ્વામીની રુચી પ્રમાણે જ હોય છે.
સભામાં વિરાજેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય જેવા મહાનુભાવો, હારેલા યુધિષ્ઠિરને મને હોડમાં મૂકવાનો શો અધિકાર છે એ પ્રશ્નનો, દ્રૌપદીને પ્રત્યુત્તર પ્રદાન કરી શક્યા નહીં.
ધ્રુતરાષ્ટ્ર પુત્ર વિકર્ણે કહ્યું કે દ્રૌપદીના પ્રશ્નનો તમે ઉત્તર આપો. અહીં એકત્ર થયેલા મહાપુરૂષો એક અક્ષર પણ નથી ઉચ્ચારતા તો પણ મને જે ન્યાયોચિત લાગે છે તે કહી રહ્યો છું. રાજાઓને માટે ચાર વસ્તુઓને અતિશય અશુભ અને અમંગલકારક કહેવામાં આવી છે - મૃગયા, મદ્યપાન, દ્યુત અને અધિક મૈથુનાસક્તિ. એ ચારેયમાં ડૂબેલો માણસ નીતિને તથા ધર્મને નેવે મૂકીને જેમ ફાવે તેમ વર્તે છે, અને એ અયોગ્ય માનવની ક્રિયાને લોકો માન્ય રાખતા નથી. યુધિષ્ઠિરે દ્યુતની મોહિનીમાં પડીને દ્યુત રમનારાથી લલકારાઈને દ્રૌપદીને હોડમાં મૂકવાનું કુકર્મ કર્યું છે. યુધિષ્ઠિરે પોતાની જાતને હાર્યા પછી એને હોડમાં મૂકી છે. શકુનિએ એને હોડમાં મૂકવાની માંગણી કરેલી, એટલે હું એને જીતાયેલી માનતો નથી.
દુર્યોધનના નાના ભાઈ વિકર્ણના એ શબ્દો કેટલાક રાજાને પસંદ પડ્યા. એમણે એમને સાભળીને સંતોષ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો; પરંતુ કર્ણે પોતાની અસંમતિ દર્શાવીને જણાવ્યું કે જે કાંઈ થઈ રહયું છે તે યોગ્ય જ છે. યુધિષ્ઠિરે દ્યુતમાં પોતાના સર્વસ્વને હોડમાં મૂકેલું તેમાં દ્રૌપદી પણ આવી ગઈને જીતાઈ ચૂકી. પાંડવોના સઘળા ધનને શકુનિએ ધર્મપૂર્વક જીતી લીધું છે.
કર્ણે દુઃશાશનને પાંડવોનાં ને દ્રૌપદીનાં વસ્ત્રો ઉતારી લેવાનો આદેશ આપ્યો એટલે પાંડવોએ પોતાનાં ઉત્તરીય વસ્ત્રોને ઉતારી નાખ્યાં. એમણે કશો વિરોધ ના કર્યો.
દુઃશાશનને દ્રૌપદીના ચીરને સભાની વચ્ચે ખેંચવા માંડ્યું.
| < Prev | Next > |
|---|
