જ્ઞાનની દીપ્તિથી ભરેલા વદનવાળા એક સંન્યાસીએ એક મંદિરમાં ઉતારો કર્યો. તેની પાસે કેટલાંક નવાં જ નીકળેલાં વેદાંતના પુસ્તકો હતાં.
બીજા દિવસથી એણે ગામમાં કથા કરવા માંડી. ટોળે મળેલા લોકોને તેણે કહેવા માંડ્યું કે : ‘ભાઈઓ, સૌમાં પરમાત્મા છે માટે સૌને પ્રેમ કરો છો, ને સૌ પ્રત્યે સમભાવ રાખી સૌની સેવા કરો. એ રીતે જ તમે સાચું જીવન જીવી શકશો. મનુષ્ય જ નહિ, પણ પશુ, પંખી ને વનસ્પતિને પણ પ્રેમ કરો.’
ટોળે વળેલા લોકોમાંના એકે પૂછ્યું : ‘પ્રભુ, તમારે માતા છે ? શું તમે પરિણીત છો, ને તમારે બાળકો પણ છે ! કે તમે અપરિણીત જ રહ્યા છો ?’
ને યુવાન સંન્યાસીએ ઉત્તર આપ્યો કે : ‘પોતે પરિણીત છે, ને ઘરમાં પોતાની પત્ની, માતા ને બાળકો પણ છે.’
‘ત્યારે તેમનું શું ?’ લોકોએ એકાએક કહેવા માંડ્યું : ‘તમારા ઉપદેશને તેમને માટે લાગુ ના પાડવાનું કારણ શું ?’
ને એ રાતે તે યુવાન સંન્યાસી પોતાની માયાળુ માતા, પ્રેમાળ પત્ની ને બાળકોને યાદ કરીને એકાંતમાં આંસુ સારવા માંડ્યો.
બીજે દિવસે લોકોએ તેની કથામાં આવીને એ જ વાતનું પારાયણ કરી કહેવા માંડ્યું કે : ‘પ્રભુ, આપનો સંદેશ જો સૌને માટે સાચો હોય, તો પહેલાં તેનો અમલ કરો. તે વિના અમને આગળની કથામાં રસ ભાગ્યે જ પડશે.’
- શ્રી યોગેશ્વરજી