તમારી સાથે મારી પહેલી મુલાકાત થઈ એ દિવસ કેટલો બધો અનેરો હતો ! તેની યાદમાંથી અમૃતપાન કરીને હું મારી બાકીની પળો પસાર કરી રહ્યો છું. તમારી સાથે મારી પહેલી મુલાકાત થઈ એ દિવસ કેટલો બધો સુંદર હતો !
એ પછી તો આપણે અનેક વાર મળ્યાં છીએ. પણ તમારા અખંડ મિલનને માટે મરવા પડેલું મારું હૃદય તમને ઝંખ્યા જ કરે છે. સમાધિના પ્રદેશમાં પ્રવેશ કરીને કૃતકૃત્ય થવા છતાંય તે તેમને ઝંખ્યા ને તલસ્યા જ કરે છે.
તલસાટથી તપી રહેલી ધરતીને ધીરજ ને શાંતિ આપવા આજે આકાશમાં વાદળ ટોળે મળે છે, આશાની આગાહી જેવી ચપલા ચમકારા કરે છે, ને વહાલનું વર્ષણ કરે છે. એ જ પ્રમાણે વહાલનું વર્ષણ કરવા માટે તમે મારી પાસે પ્રકટ થાવ, કાયમને માટે પ્રકટ થાવ, ને મને શાંતિનું દાન કરો. કાળાભમ્મર કેશની વચ્ચેથી સ્મિત કરનારા તમારા કમળ કરતાંયે વધારે કોમળ મુખને જોતાંવેંત મને સમાધિ થશે ને સાધનાની સિદ્ધિ સાંપડશે.
- શ્રી યોગેશ્વરજી