ક્રોધના આવેશમાં એકદમ ધસી આવીને એક સાધુએ બીજાને કહ્યું : ‘બોલ હવે તને કોણ બચાવી શકે તેમ છે? આ બધું જ લૂંટી લઉં તો પણ હવે મને કોણ રોકે તેમ છે ?’
‘ઈશ્વર.’ શાંત સાધુએ ઉત્તર આપ્યો.
‘ઈશ્વર? જોઉં છું તે તને કેમ બચાવે છે!’ એમ કહીને ક્રોધી સાધુએ નાના સરખા આશ્રમની બધી જ વસ્તુ લૂંટી લીધી. ને બોલ્યો: ‘જો, મેં તને લૂંટી લીધો. મારા કહ્યા પ્રમાણે ના કર્યું તો જો મેં તને લૂંટી લીધો.’
શાંત સાધુએ પ્રત્યુત્તર વાળ્યો: ‘લૂંટ કોની થઈ? મારું તો કંઈ જ લૂંટાયું નથી. સંપત્તિ તો તમારી જ લૂંટાય છે : મારું તો કંઈ જ લૂંટાયું નથી.’
ને તેના શાંત શબ્દોએ ક્રોધી સાધુના જીવનમાં ક્રાંતિ કરી નાખી. તે સાચી શીલની સંપત્તિનો સ્વામી બની ગયો. આજે પણ એ વાતને યાદ કરીને તે રોમાંચ અનુભવે છે.
- શ્રી યોગેશ્વરજી