નાનાસરખા ગામમાં પાંચ મિત્રોની એક ટોળી હતી. ગામમાં તેમનો પ્રભાવ હતો, ને તેમના ડહાપણ માટે સૌને માન હતું.
એકવાર એ ગામમાં વરસોથી ના બનેલો પ્રસંગ બની ગયો. એક યુવાને પરણવાની ના પાડી, ને તે તપ કરવા એકાંત વનમાં વિદાય થયો. પાંચ મિત્રોને વાતોનો વિષય મળ્યો. એમણે ગામમાં બધે કહેવા માંડ્યું: ‘યુવાનનું મગજ બગડ્યું લાગે છે. સંસારનું સુખ છોડીને વળી વનમાં શું બળ્યું છે? અંદરખાને વાત જરૂર કંઈક બીજી હશે. નહીં તો આમ થાય નહીં.’
એ પછી એક દિવસ એ યુવાને ગામમાં પાછા આવીને લગ્ન કર્યું ને ઘર માંડ્યું. ત્યારે પણ એ મિત્રો બધે ફરતાં બોલી ઉઠ્યા: ‘જોયું? માયાને જીતવાનું કાંઈ સહેલું થોડું છે? બ્રહ્મચર્યનું પાલન કરે તે તો દેવથી પણ ચડી જાય. એના તો પગ ધોઈ પીએ. પણ સંયમ પાળીને વનમાં વસવું એમ તે કાંઈ સહેલું છે?’
- શ્રી યોગેશ્વરજી