સંસારની શાંતિની વાતો કરનારા માનવ, તારા પોતાના જ અંતરમાં હજી શાંતિનો સૂર્યોદય થયો નથી, એ કેવું અજબ જેવું છે? સંસારની શાંતિ માટે તું દોડ દોડ કરે છે, બોલે છે, લખે છે, ને ભલામણ કરે છે; પણ તારા અંતરમાં તો ડોકિયું કર. તેમાં જલનારી અશાંતિની જ્વાલા જ્યાં લગી કાયમ છે, ત્યાં લગી સંસારની શાંતિનું તારું સ્વપ્ન કેવી રીતે સાચું ઠરશે?
પહેલાં તો તારી પોતાની અંદર શાંતિનો પ્રસાર કર: પછી તારા ઘરમાં ને કુટુંબમાં : પછી ગામ, સમાજ ને નગરમાં: ને પછી દેશ તથા દુનિયામાં. આ ક્રમનું પાલન કર, ને પાલન કરવાનો સંદેશ ધર, તો તારું સ્વપ્નું સાચું ઠરશે, ને તારો મનોરથ મિથ્યા નહીં થાય.
સંસારની શાંતિની વાતો કરનારા માનવ, તું સંસારનો છે, ને પ્રત્યેક માનવ સંસારનો છે, એ સત્યને શા માટે વિસરી જાય છે? માટે જ કહું છું કે તારી શાંતિની પહેલા સ્થાપના કર.
- શ્રી યોગેશ્વરજી