નિંદા તેમ ટીકા ભલે લોકોની મળે,
ઉપહાસે અજ્ઞાની છો બેચાર કરે;
કાદવ ઉછાળે તોય નિરાશ ના થઉં,
અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં !
સંકટ ને વેદના તો આવવાનાં સ્હેજ,
જાણું છું ના રોજ મળે સુમનની સેજ;
પીડા અપયશથકી કંટાળી ના જઉં,
અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં !
સ્તુતિગીત ગાય નહીં સ્વાગત કરે,
અંતરના ભેદુ ભલે કોઈ ના મળે;
એકાકી ને રંક તોયે મ્લાન ના જ થઉં,
અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં !
માને કોઈ કે ના માને પરવા નથી,
દુન્યવી લાભોની મારે ગણના નથી;
મંગલને માર્ગે સદા આગળ હું જઉં,
અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં !
તમારો હેતાળ હાથ મારે શિર છે,
પછી શાની ચિંતા, ભય શોક પીડા કે ?
આહલાદે આગે ને આગે બઢતો જઉં,
સર્વકાળ સર્વસ્થળે હસતો રહું;
આદર્શની સિદ્ધિ સુધી હતાશ ના થઉં,
અપનાવ્યો મારગ ના કોદી મૂકી દઉં !
(૪-૧૦-૧૯૫૭, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી