Tuesday, May 22, 2012
   
Text Size

પરદેશનો પ્રવાસ

પ્રશ્ન : તમે પરદેશનો પ્રવાસ શા માટે કરી રહ્યા છો ?
ઉત્તર : મારા વ્યક્તિગત જીવનના ઈતિહાસનું અવલોકન તટસ્થ રીતે કરનારાને એ સત્યની પ્રતીતિ થશે કે મારા જીવનની સમસ્ત પ્રવૃતિ પરમાત્માની ચોક્કસ પ્રેરણા અથવા આજ્ઞાને અનુસરીને ચાલ્યા કરે છે. એટલે મારા પરદેશ પ્રવાસની પાછળ પણ પરમાત્માની ઈચ્છા અથવા પ્રેરણા જ કાર્ય કરી રહી છે. પરમાત્માની પવિત્ર યોજના પ્રમાણે જ મારે પરદેશના પ્રવાસે આવવાનું થાય છે.

પ્રશ્ન : એનો અર્થ એવો કરી શકાય ખરો કે તમારા પરદેશ પ્રવાસની પાછળ કોઈ પ્રકારનો હેતુ નથી? એ પ્રવાસ પરમાત્માની જ ઇચ્છા અથવા પ્રેરણાથી થતો હોય તો પણ તેની દ્વારા કોઈ ચોક્કસ પ્રયોજનની પૂર્તિ તો થતી જ હશે. જો તેમ હોય તો તે પ્રયોજન વિશે પ્રકાશ પાડી શકશો ?
ઉત્તર : મારા પરદેશના પુણ્યપ્રવાસનું પ્રયોજન પરમાત્માના કલ્યાણકાર્યના અનુષ્ઠાન વિના બીજું કોઈ જ નથી. એ કલ્યાણકાર્ય માનવોને જરૂર હોય ત્યાં ને ત્યારે પ્રકાશ પહોંચાડવાનું, પ્રેરણા પાવાનું, અને તેમને જીવનના મૂળભૂત ધ્યેયનું સ્મરણ કરાવીને તે ધ્યેયની પ્રાપ્તિનો પુરુષાર્થ બતાવવાનું છે. ધર્મને નામે સમાજમાં જે ભાતભાતની ભ્રાંતિઓ ફેલાયેલી છે તેમને દૂર કરીને ધર્મના સાચા સ્વરૂપને રજુ કરવાની આવશ્યકતા છે. તે ઉપરાંત શાંતિની કામનાવાળા માનવોને શાંતિનો માર્ગ બતાવવાનું કાર્ય એટલું જ મહત્વનું છે. પરમાત્માના પવિત્ર પથપ્રદર્શન પ્રમાણે એ કલ્યાણકાર્ય કરાઈ રહ્યું છે.

પ્રશ્ન : તમારા કાર્યની કોઈ અસર થાય છે ખરી ? બીજાને તેથી કોઈ મહત્વનો લાભ પહોંચે છે ?
ઉત્તર : મારા કાર્યથી કોઈને વધારે અથવા ઓછો લાભ પહોંચે છે તેની ચિંતા હું નથી કરતો. સૂર્ય સમય પર પોતાનો પ્રકાશ પૂરો પાડે છે. તે પ્રકાશનો ઉપયોગ કોણે કેટલા પ્રમાણમાં કર્યો તેની ચિંતા તે નથી કરતો. માનવે કર્મ કરતા રહેવું જોઈએ. તેના ફળની ચિંતામાં તેણે પડવાનું નથી હોતું. સારાનું સારું અને ખરાબનું ખરાબ ફળ અવશ્ય મળે જ છે; તો પણ જે સત્કર્મ કરવામાં આવે છે તે કદી પણ નકામું જતું નથી. તેની અસર અવશ્ય થાય છે. તે કર્મ દ્વારા બીજાને વહેલી કે મોડી, વધારે કે ઓછી મદદ અવશ્ય મળે છે. મારું કલ્યાણકાર્ય પણ એ સંદર્ભમાં નકામું નથી જતું.

પ્રશ્ન : તમારા કાર્યને માટે તમે કોઈ ફી લો છો ખરા ?
ઉત્તર : ના. ભારતીય સંસ્કૃતિએ અમને જે કાંઈ કરીએ, તે સેવાભાવથી, નિસ્વાર્થ રીતે, કોઈપણ પ્રકારનો પુરસ્કાર લીધા સિવાય કરવાનું શીખવ્યું છે. એ સૂચનાનું પાલન કરવામાં મારો સંતોષ સમાયેલો છે. અમે સહુ કોઈને કોઈપણ પ્રકારના બદલાની આશા વગર ઉપયોગી થવામાં કે મદદરૂપ બનવામાં માનીએ છીએ. અધ્યાત્મના પ્રસારના કલ્યાણકાર્યને અમે સહજ સ્વભાવથી પ્રેરાઈને કરીએ છીએ. એને વ્યાપાર અથવા જીવનની આજીવિકાનું સાધન નથી સમજતા.

પ્રશ્ન : તો પછી તમારા જીવનની આજીવિકા કેવી રીતે ચાલે છે ?
ઉત્તર : જે પરમશક્તિ બાળકના જન્મ પહેલાં માતાના શરીરમાં દૂધ પેદા કરે છે તે જ પરમશક્તિ મારા જીવનનું ધ્યાન રાખે છે. મારી સઘળી આવશ્યકતાઓને તે પૂરી કરે છે. આજ સુધી એણે જ મારી સઘળી સંભાળ રાખી છે, અને વર્તમાન કાળની જેમ ભવિષ્યમાં પણ રાખશે એવો વિશ્વાસ છે. એનું શરણ લેનારને અને સાચા દિલથી સ્મરણ કરનારને સઘળી મદદ મળી રહે છે.

Today's Quote

Do well to your friend to keep him, and to your enemy to make him your friend.
- E.W.Scripps 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 115 guests online

View site in