Sunday, February 05, 2012
   
Text Size

સાક્ષાત્કાર માટે ગૃહત્યાગ

પ્રશ્ન : ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાને માટે મારો વિચાર ઘરનો ત્યાગ કરવાનો છે. તો તે બાબત તમારો અભિપ્રાય આપી શકશો ?
ઉત્તર : તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ઘરનો ત્યાગ કરવા માગો છો અને એ બાબત મારા અભિપ્રાયની ઈચ્છા રાખો છો એ જ બતાવે છે કે તમે તમારા નિર્ણય કે વિચારમાં મક્કમ નથી. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર તરસ હજુ તમને નથી લાગી. નહિ તો તમે મારો કે બીજા કોઈનોયે અભિપ્રાય ન માગત. જેને ઈશ્વરની લગની લાગે છે કે જે ઈશ્વરના સાક્ષાત્કારને માટે જ આકુળ-વ્યાકુળ બને છે, તે ઘરના ત્યાગને માટે સલાહ લેવા નથી બેસતા. તે તો ઘરનો ત્યાગ ક્યારે કરે છે તેની કોઈને ખબર પણ નથી પડતી. ઘરનો ત્યાગ કરીને જ્યારે તે બહાર નીકળી જાય છે ત્યારે જ ખબર પડે છે કે એમણે ઘર છોડી દીધું. છતાં પણ મારા પરના પ્રેમ અને વિશ્વાસથી પ્રેરાઈને તમે મારો અભિપ્રાય પૂછવાનું ઉચિત માન્યું છે ત્યારે મને કહેવા દો કે તમે ઘરનો ત્યાગ કરો એવું નથી ઈચ્છતો. અત્યારના સંજોગોમાં તમે ઘરમાં રહીને જ સાધના કરો અને આગળ વધો તો સારું, એવો મારો અભિપ્રાય છે.

પ્રશ્ન : તમે મને ઘર છોડવાની ના શા માટે કહો છો ?
ઉત્તર : કારણ કે તમને બહારની દુનિયાની પરિસ્થિતિ કેવી વિકૃત, કફોડી અને નાજુક છે એનો અનુભવ નથી. તમે સ્ત્રી છો એટલે તમારી જવાબદારી વધે છે તથા તમારા પ્રશ્નને પણ જુદી રીતે વિચારવો રહે છે. અત્યારના સમાજમાં તમે સ્વૈર રીતે વિહાર કરીને ઈચ્છાનુસાર સાધના કરી શકો એવી અનુકૂળ પરિસ્થિતિ નથી. સ્ત્રીઓને માટે ખાસ વિશ્વસનીય એવા આશ્રમો પણ નથી. તમારો વૈરાગ્ય કાચો છે. તમારી ભૂમિકા પણ કાચી છે અને સાધનાના ક્ષેત્રમાં તમારી પ્રગતિ પણ નજીવી છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કાંઈ ઘર છોડશો અને બીજાની ભિક્ષા પર જીવશો એટલે કે તરત નહિ થઈ જાય. ના, એ એટલો સસ્તો નથી. એને માટે તો મનને મક્કમ રાખીને દિવસો, મહિના ને વરસો સુધી તપવું પડશે, પ્રાર્થવું પડશે, ને વેઠવું પડશે. વરસો સુધી એકધારી રીતે સાધનારત રહેવું પડશે. ત્યારે જ કાંઈક મહત્વનું મળી રહેશે ને ઈશ્વર સાક્ષાત્કાર પણ ત્યારે જ થઈ શકશે.

પ્રશ્ન : ત્યારે શું મારે આગળ વધવાના વિચારને પડતો મૂકવો ને ઘરમાં જ નિરાશ થઈને બેસી રહેવું ?
ઉત્તર : નિરાશ થઈને બેસી રહેવાનું કોઈ જ કારણ નથી. આશાને અમર રાખો. આશા વગરનું જીવન નકામું છે, નીરસ છે. આગળ વધવાના વિચારને પણ પડતો મુકવાની જરૂર નથી. તે વિચાર ભલે રહ્યો. પરંતુ ઘરનો ત્યાગ કરવાથી જ આગળ વધાય છે એવા આગ્રહને પડતો મૂકો. એ આગ્રહ અસ્થાને અને નિરર્થક છે. ઘરથી ડરો કે ગભરાવ નહિ. ઘર અનેક રીતે ઉપયોગી છે. એમાં તમારી સલામતી છે. એમાં રહીને વર્તમાન વખત પૂરતું, તમારા વૈરાગ્યભાવને, તમારી શક્તિને, હૃદયશુદ્ધિ ને તમારા જ્ઞાનને દ્રઢ કરો. નિયમિત પ્રાર્થના તથા સાધનાની મદદથી ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચવાની કોશિશ કરો. સંસારના મોહ ને સંસારની મમતાથી બનતા પ્રમાણમાં દૂર રહો. આવશ્યકતાઓને ઓછી કરો, તથા જીવનને સંયમી ને સાદું કરો. બીજાને ઉપયોગ પણ બનો. એવી રીતે જીવો તો ઘર તમને મદદરૂપ થશે, ને ત્યાગની સમસ્યા તમારા જીવનમાં નહિ પેદા થાય. કોઈ કારણને લીધે ત્યાગ થશે તો પણ તેને તમે શોભાવી શકશો, તે તમને મદદરૂપ થશે. ઘરને સુધારવાથી અથવા ઘરમાં રહીને ઉન્નતિ કરવાથી ઘર જ જ્યાં નંદનવન જેવું ઉત્તમ બની રહેશે ત્યાં ત્યાગ કરવાની આવશ્યકતા ભાગ્યે જ રહેશે. તૈયારી વગરનો ત્યાગ સાધક નહિ પરંતુ બાધક નીવડે છે એ સદા યાદ રાખો ને ખોટું સાહસ ના કરો.

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 350 guests online

View site in