Saturday, February 11, 2012
   
Text Size

ઈશ્વરનું દર્શન

પ્રશ્ન : આ જમાનામાં કોઈને ઈશ્વરનું દર્શન થઈ શકે ખરું ?
ઉત્તર :  આ જમાનામાં પણ ઈશ્વરનું દર્શન થઈ શકે છે. તેમાં કોઈ કાળ, યુગ કે જમાનો આડે નથી આવતો.

પ્રશ્ન :  પરંતુ આ તો ઘોર કલિકાળ છે.
ઉત્તર : તેથી શું થયું ? બહાર ભલેને કલિકાળ હોય, તે કલિકાળ તમારા પોતાના મનમાં, અંતરમાં ને જીવનમાં છે કે નથી તે જ જોવાનું છે. તમારી અંદર જો કલિકાળના દોષો નહીં હોય તો તમારો રસ્તો સાફ થઈ રહેશે. આજના યુગમાં પણ તમે તેટલું પવિત્ર કે નિષ્કલંક જીવન જીવી શકો છો.

પ્રશ્ન : તેવું જીવન જીવવાનું શું અઘરૂં નથી લાગતું ?
ઉત્તર : અઘરૂં લાગે કે ના લાગે પણ અશક્ય તો નથી જ. એટલે એમાં આશા રહેલી છે. વિરોધાભાસી વાતાવરણ અથવા આજુબાજુની પાર વિનાની પ્રતિકૂળ પરિસ્થિતિઓને લીધે એવું જીવન જીવવાનું જરા કઠિન લાગે એ સમજી શકાય તેવું છે. તો પણ તેને માટે પ્રામાણિકપણે જેટલો બને તેટલો પ્રયત્ન તો કરી જ શકાય. આજ સુધી એવી રીતે અનેક પુરૂષોએ પ્રયત્નો કર્યાં છે ને તેમાં સંપૂર્ણ સફળતા મેળવી છે. તેમ તમે પણ મેળવી શકો છો.
વળી કલિયુગની એક બીજી વિશેષતા પણ છે. શાસ્ત્રો અને મહાપુરૂષો સર્વસંમત સ્વરે જણાવે છે કે કલિયુગ જેવો યુગ બીજો કોઈ આવવાનો નથી. તેમાં જો જીવ ચાહે તો ઈશ્વરની કૃપાની પરમપ્રસાદી મેળવીને પોતાનું કલ્યાણ થોડા જ વખતમાં કરી શકે છે. કલિયુગમાં દોષો કે દુષણો વધારે હોય તો પણ તેમનામાંથી મુક્તિ મેળવવાની તકો પણ તેટલી વધારે છે. માટે દોષનો બધો જ ટોપલો તેના માથા પર નાખી દઈને નિરાશ ને નાહિંમત બનીને બેસી રહેવાની જરૂર જરા પણ નથી. તેમાંથી માર્ગ કાઢીને આગળ વધી શકાય છે. ને એ સિવાય બીજો કોઈ ઉપાય પણ ક્યાં છે ? આપણો જમાનો ગમે તેટલો પ્રતિકૂળ હોય તો પણ તેની સાથે જ કામ લેવાનું છે. તેને પલટાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. તેને સુધારવાની વ્યક્તિગત કે સમષ્ટિગત સાધના પણ કરી શકાય, પરંતુ તેની અંદર રહીને શ્વાસ લીધા સિવાય છુટકો નથી. એ શ્વાસ લેવાનું કામ આપણે માટે મારક ના થાય પણ તારક થાય ને દુઃખદાયક થવાને બદલે સુખકારક બની જાય એનું ધ્યાન રાખીએ તો નકામી અને વધારે પડતી ચિંતા કરવાનું કે ભય પામવાનું કોઈ કારણ નહીં રહે.

પ્રશ્ન : તમે જે કહો છો તે વાત લાગે છે તો સાચી, તેને સાંભળવામાં આનંદ આવે છે એ પણ સાચું, પરંતુ વાસ્તવિકતાની ધરતી પર પગ મૂકીએ છીએ ત્યારે જરાક નાહિંમત બની જઈએ છીએ.
ઉત્તર : નાહિંમત શા માટે બનવું જોઈએ ?

પ્રશ્ન : વાતાવરણ એટલું બધું વિરોધી, વિપરીત અને વિષમય હોય છે કે નાહિંમત ના બનવું હોય તો પણ બનવું પડે. કેટલીક વાર તો એમાંથી માર્ગ કાઢવાનું જ મુશ્કેલ બની જાય.
ઉત્તર : તો પણ એને લીધે નાહિંમત બનવાનું બરાબર નથી. વિવેક, હિંમત, ધીરજ, વારંવારના પ્રયત્નો ને પ્રાર્થના દ્વારા એમાંથી શાંતિપૂર્વક માર્ગ કાઢવાનો પ્રયાસ કરો તો છેવટે વહેલા કે મોડા, ઓછા કે વત્તા પ્રમાણમાં સફળ થશો. આજ સુધી તમારા જેવા કેટલાયે સાધકોએ એવી રીતે સફળતા મેળવી છે.


Today's Quote

Better to light one small candle than to curse the darkness.
- Chinese Proverb 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 21 guests online

View site in