સંતો ઈશ્વરની આરાધનાનો આધાર લઈને એમની અત્યંત નજદીક પહોંચ્યા હોવાથી પ્રેમ તથા કરૂણાની મૂર્તિ જેવા હોય છે. એમના અંતર અત્યંત કોમળ હોય છે. એ બીજાનું હિત કરવા સારુ જ શ્વાસ લેતા હોઈને એમનો આશ્રય લેનાર પણ શાંતિ પામે છે, જીવનવિકાસની ઉચ્ચતમ પ્રેરણાની પ્રાપ્તિ કરે છે ને ધન્ય બને છે. એમના રૂપમાં જાણે કે ઈશ્વર પોતે જ કામ કરતા હોય છે.
રમણ મહર્ષિ એવા સાચા સંત હતા. જીવનસિદ્ધિના સુમેરૂ શિખર પર પહોંચીને સમસ્ત જીવન દ્વારા એ લોકોપકારનું મહાન કાર્ય કરી રહેલા. એ ગંભીર વિશાળ વટવૃક્ષ જેવા હતા. એમના આશ્રયે આવનારા અસંખ્યને એમણે પ્રેરણા પહોંચાડી ને શાંતિ આપી. એમણે અનેકને આશ્રય આપ્યો, અનેકની કરમાયેલી કે સુકાયેલી જીવનવાડીમાં શક્તિ ને રસવૃત્તિ તથા ભગવદ્ ભક્તિનાં ભાવમય, અભિનવ, આશીર્વાદરૂપ સુંદર સ્ત્રોતો પેદા કર્યાં, અને અનેકનાં અસ્થિર ભ્રાંત જ્યોતિરહિત જીવનને ભ્રાંતિમાંથી મુક્ત કરી જડતાથી રહિત બનાવીને સ્થિરતા આપી. એમના અંતરમાં અવનવી જ્યોતિઓ જગાવી. એમના સંસર્ગમાં આવેલા અને એથી ધન્ય બનેલા અનેક આત્માઓનાં જીવન એની સાક્ષી પૂરે છે. સ્ત્રીઓ પણ એમના અસાધારણ અનુગ્રહથી વંચિત નહોતી રહી. એમની અહેતુકી અનુકંપા જેમ પુરૂષો પર, વાનર પર ને બીજાં પશુપક્ષીઓ પર વરસતી રહેતી તેમ શ્રદ્ધાસંપન્ન ભાવભક્તિમતી સન્નારીઓ પણ એના અમૃતમય આસ્વાદથી ધન્ય બનતી. એવી જ એક શ્રદ્ધાભક્તિયુક્ત ધન્ય સન્નારીનો પરિચય અહીં આપી રહ્યો છું.
એનું મૂળ નામ લક્ષ્મી અમ્માલ હતું. રમણ મહર્ષિના આશ્રમમાં રહેતા ભક્તો એને એચમ્માલના નામથી ઓળખતા. એ તિરુવણ્ણામલૈથી વીસેક માઈલ દૂર આવેલા મંડકોલુતૂર ગામમાં નિવાસ કરતી. એનાં દુઃખદર્દ અને એની ચિંતાનો પાર ન હતો. પૃથ્વીની બધી જ પીડાઓ જાણે કે એના જીવનમાં અતિવૃષ્ટિનું રૂપ ધારીને વરસી ચૂકેલી ને વરસી રહેલી. એના અંતરમાં શાંતિ, સુખ અથવા આનંદનું નામનિશાન નહોતું દેખાતું. પચીસ વરસની ઉંમરની અંદર અંદર તો એના પતિનું મૃત્યુ થયું, અને પછી એના એકના એક પુત્રરત્નનું પણ અવસાન થયું. એટલો આઘાત જાણે કે ઓછો હોય અને એણે વધારે ભયંકર પીડા ભોગવવાની હોય તેમ એ પછી થોડાક જ વખતમાં એની એકની એક પ્રાણપ્યારી પુત્રીને પણ કાળે લઈ લીધી. જે જીવન ઊગતી યુવાનીમાં અમૃતમય લાગતું’તું તે વિષની પ્યાલી જેવું બની ગયું.
ઉપરાઉપરી લાગેલા આઘાતોને લીધે એનું મગજ શૂન્ય બની ગયું. એની પીડાનો પાર ના રહ્યો. એ આઘાત અને પીડાને લીધે એનો જીવનરસ સુકાઈ ગયો. એ પોતાની ઉપરનો કાબૂ ખોઈ બેઠી તથા એને જીવનનો જરાપણ રસ ના રહ્યો. એને માટે એ આખુંય ગામ નીરસ બની ગયું. એને જીવનની કોઈપણ પ્રવૃત્તિમાં રુચિ ના રહી. એને ઘર તથા ગામ સ્મશાન જેવાં લાગવા માંડ્યાં. એને માટે બધે અંધકાર છવાઈ રહ્યો.
એવી પીડાજનક પરિસ્થિતિમાં પીડાથી મુક્તિ મેળવવા કે પાર વિનાની પીડાને ઓછી કરવા પોતાના પિતાની અનુમતિ લઈને એણે ગોકર્ણ જેવાં તીર્થસ્થળોની યાત્રા કરી. ત્યાં રહેતા સંતોનો સત્સંગ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને એ કેટલેય ઠેકાણે ફરી વળી. ઉત્તરનાં જુદાંજુદાં તીર્થોમાં એને પવિત્ર પરમાત્મપ્રેમી સંતપુરૂષોનો સુખદ સમાગમ પણ થયો, પરંતુ એ સમાગમ એનાં દુઃખ કે શોકની નિવૃત્તિ ના કરી શક્યો. એનું હૃદય તો અનવરત રીતે એવું ને એવું જ જલતું રહ્યું. એની દૃષ્ટિ તથા વૃત્તિમાં કશો જ ફેર ના પડ્યો.
ઈ.સ. ૧૯૦૬માં એ યાત્રાએથી ઘેર પાછી ફરી ત્યારે એ વેરાન ઘરને જોઈને એનું હૃદય ફરીથી રડી ઊઠ્યું.
લક્ષ્મી અમ્માલને મહર્ષિની માહિતી મેળવીને આનંદ થયો. વિશેષ વિલંબ કર્યા વગર એણે તિરુવણ્ણામલૈ જઈને એ મહાપુરૂષનાં દર્શનનો નિર્ણય કર્યો.
થોડા વખતમાં તો એ પર્વત પરની વિરૂપાક્ષી ગુફા આગળ આવી પહોંચી.
ગુફામાં મહર્ષિ બેઠેલા.
એમના દર્શનથી એના આત્માને આનંદ થયો ને નિરાંત વળી. એના હૃદયમાં ભાતભાતના શ્રદ્ધાભક્તિભરપૂર ભાવો ઊછળવા માંડ્યા.
એ ભાવોમાં સાનંદ સ્નાન કરતી એ એકાદ કલાક લગી ત્યાં જ ઊભી રહી––એ પરમપ્રતાપી પ્રશાંત મહાપુરૂષની પાસે, અને કશું જ ના બોલી. એને કશું બોલવાનું મન જ ના થયું.
મહર્ષિ પોતે પણ કશું ના બોલ્યા. છતાં પણ એમની સંનિધિમાં એ સન્નારીને એટલી બધી શાંતિ મળી, એનું મન એટલું બધું નિશ્ચિંત બનવા લાગ્યું, કે એની અવસ્થા ચિત્રાંકિત પ્રતિમા જેવી બની ગઈ. એને એ વિશુદ્ધ વાયુમંડળમાંથી હઠવાનું મન જ ના થયું.
એ નીરવ નિશ્ચિંત અવસ્થામાં લાંબા વખત લગી સ્થિર રહ્યા પછી એ પોતાની બેનપણી કે સખી સાથે ગુફામાંથી બહાર નીકળીને પર્વત પરથી નીચે ઊતરી. એ વખતે એની મનોદશા જુદી જ હતી. એણે નીચે ઊતર્યા પછી પોતાની સ્નેહાળ સખીને કહ્યું પણ ખરું કે મહર્ષિની કૃપાથી મારું હૈયું કોણ જાણે કેમ પણ હળવું થયું છે, મારો શોક ઓછો થયો છે, ને મને શાંતિ મળી છે.
મહર્ષિનો મૂક સત્સંગ એ શોકમગ્ન, સંતપ્ત સન્નારીના જીવનપ્રવાહનું સુખદ પરિવર્તન કરનારો થઈ પડ્યો.
અંધકારમાં પ્રકાશ પ્રકટ્યો, જડતામાં ચેતનનો સંચાર થયો, ને મૃત્યુને જાણે કે જીવન મળ્યું.
નિરાશામાં આશા પેદા થઈ.
વિષાદમાં ઉલ્લાસ ને ચિંતામાં નિશ્ચિંતતાનો આર્ભાવ થયો.
ગરલમાં એકાએક સુધાની સૃષ્ટિ થઈ.
નીરસતામાં રસ પ્રકટ્યો ને દુર્ગંધમાં ફોરમના ફુવારા ફૂટી નીકળ્યા.
દિવસો, મહિના ને વરસો પછી એને લાગ્યું કે જીવન અમંગલ અભિશાપરૂપ નથી, અમૂલખ આશીર્વાદરૂપ છે, ને ઉપેક્ષા કરવા યોગ્ય નથી પણ જીવવા જેવું છે ને ચાહવાયોગ્ય છે.
મહર્ષિનાં દર્શન માટે એ અહર્નિશ અનુરાગયુક્ત અંતરે આનંદપૂર્વક આવી પહોંચતી, કારણ કે આવ્યા વિના રહી શકતી જ નહિ. મહર્ષિ એને માટે પિતા, માતા, ભ્રાતા, ગુરૂ, દેવતા, પરમાત્મા, સર્વરૂપ હતા. અત્યાર સુધી આશ્વાસન મેળવવાની મહેચ્છાથી પ્રેરાઈને એ અનેક તીર્થસ્થાનોમાં ફરી ચૂકેલી. એ સર્વોત્તમ તીર્થસ્થાનોના સેવનના ફળરૂપે જ એને આખરે મહર્ષિ જેવા અલૌકિક જંગમતીર્થની પ્રાપ્તિ થયેલી. એ તીર્થ એને માટે આશીર્વાદરૂપ થઈ પડ્યું. એમનાં દર્શન પછી એનો આત્મા એમની તરફ સતત રીતે ખેંચાયા કરતો અને એમની સંનિધિમાં રહેવાની જ ઝંખના કરતો.
પોતાને હાથે ખૂબખૂબ ભક્તિભાવથી તૈયાર કરેલી ભિક્ષા સાથે એ મહર્ષિ પાસે પહોંચી જતી ને મહર્ષિ અને એમની સાથેના ભક્તોને જમાડ્યા પછી જે કાંઈ શેષ રહેતું તે પ્રસાદ માનીને ગ્રહણ કરતી. એવું કરવામાં એને અસાધારણ આનંદ આવતો.
સેવાનો એ ક્રમ એક અથવા બીજી રીતે, પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તિત થઈને, વરસો સુધી ચાલુ રહ્યો. એમાં કદી ને કોઈયે કારણે ભંગ પડ્યો જ નહિ. મહર્ષિ પાસેથી એને જે શાંતિ મળી તેની કિંમત કોઈ રીતે નહોતી કરી શકાય તેમ. એના બદલામાં એ બીજું શું આપી શકે તેમ હતી ? એણે એમનાં શ્રીચરણોમાં સર્વસમર્પણ કરી દીધું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની સમર્પણભાવયુક્ત શ્રદ્ધાભક્તિને સુરક્ષિત રાખીને એમની સર્વપ્રકારે સેવા કરી. પોતાના પૂજ્ય પિતા તરફથી અને એમના સ્વર્ગવાસ પછી પોતાના ભાઈ તરફથી આજીવિકા માટે મળતી બધી જ રકમ એ મહર્ષિ અને એમના આશ્રમ માટે ખરચતી. એ સેવાભાવના ને વરસો સુધી એકધારી ચાલેલી સેવાભાવના કાંઈ ઓછી અગત્યની ન હતી. એ દ્વારા એ મહાન સન્નારીની સર્વોત્તમ સુસંસ્કારિતાનું દર્શન થાય છે.
* * * * * * * * * * * *
મહર્ષિની મુલાકાત પહેલાં ઉત્તર ભારતના કોઈક યોગીએ એ સન્નારીને મનની એકાગ્રતાને માટે નાસાગ્ર દૃષ્ટિ કરીને બેસવાની પ્રક્રિયા બતાવેલી. એ એનો શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરતી. એ અભ્યાસ દ્વારા એને એક પ્રકારનું દિવ્ય તેજ દેખાતું અને આનંદ મળતો. એ અભ્યાસમાં એ બાહ્યજ્ઞાનને ભૂલીને લાંબા વખત લગી બેસી શકતી.
એક દિવસ એના એ અભ્યાસની કોઈએ મહર્ષિને માહિતી આપી.
મહર્ષિ એ વખતે મૂક રહ્યા. પરંતુ લક્ષ્મી અમ્માલે જ એક વાર એ બધા અભ્યાસથી એમને માહિતગાર કર્યા ત્યારે એમણે એવા અભ્યાસને ઉત્તેજન ના આપવાના આશયથી જણાવ્યું :
‘એ બધી જાતનાં તેજ દ્દશ્ય જ છે, આત્મા નથી. તારું લક્ષ્ય આત્માના સાક્ષાત્કારનું જ હોવું જોઈએ : કોઈ તેજ જોવાનું નહિ. સાધારણ લક્ષ્યની પાછળ મન લગાડવાથી શો હેતુ સરી શકે ? ’
મહર્ષિના માર્ગદર્શનને અનુસરીને એ સન્નારી સાધિકાએ તેજનાં દર્શનનો મોહ તજી દઈને આત્મવિચારનો આધાર લીધો. એથી એને લાભ પણ થવા માંડ્યો.
મહર્ષિના માર્ગદર્શનમાં એને વિશ્વાસ હતો અને એ વિશ્વાસને વિલોકીને મહર્ષિએ સમય સમય પર એક અથવા બીજી રીતે એની ઉપર કૃપા કરીને એને આત્મવિકાસના મૂળભૂત માર્ગમાં મદદ કરી.
* * * * * * * * * * * *
લક્ષ્મી અમ્માલ અથવા એચમ્માલનું મન હંમેશાં મહર્ષિમાં રહેતું. એના અંતરમાં મહર્ષિ વિના બીજુ કોઈ ન હતું. એમાં મહર્ષિ માટેનો જ રાગ ભરેલો હોવાથી મહર્ષિ એની ઉપર પુષ્કળ પ્રેમ રાખતા અને એને આધ્યાત્મિક રીતે મદદરૂપ થતા. એને એના પવિત્ર પ્રેમ તથા શ્રદ્ધાભાવને લીધે કેટલાક અસાધારણ અદભુત અનુભવો પણ મળ્યા કરતા. એવા જ એક વિશેષ અનુભવનો ઉલ્લેખ અહીં અસ્થાને નહીં લેખાય.
એક દિવસ પોતાના નિત્યનિયમાનુસાર એ ભિક્ષા લઈને મહર્ષિ પાસે આવી પહોંચી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એણે જોયું તો એ ઉત્તર ભારતમાંથી આવેલા કોઈક શાસ્ત્રી સાથે વાત કરી રહેલા. શાસ્ત્રી સાથેની એમની વાતમાં આશ્ચર્યકારક જેવું કશું જ ન હતું તો પણ એને જે આશ્ચર્ય થયું એની પાછળ એનો અનુભવ જ કામ કરી રહેલો. એનું મન વિક્ષુબ્ધ બની ગયેલું ને તન ધ્રુજતું હતું. એને એનું કારણ પૂછવામાં આવ્યું તો એણે જણાવ્યું કે હું રોજની જેમ ભિક્ષા લઈને સદગુરૂસ્વામીની ગુફા પાસેથી પસાર થઈ રહેલી ત્યારે રસ્તામાં મેં બે પુરૂષોને ઊભેલા જોયા. એમાંના એક પુરૂષ કોઈ અપરિચિત હતા ને બીજા રમણ મહર્ષિ. એ બંનેને જોવા છતાં મેં આગળ જવાનું ચાલુ રાખ્યું એટલે અવાજ આવ્યો કે હું અહીં જ છું પછી આગળ જવાનું શું પ્રયોજન છે ? મેં એ અવાજની દિશામાં પાછળ જોયું તો મારા વિસ્મય વચ્ચે ત્યાં કોઈ જ ના દેખાયું. મને કાંઈ જ સમજ ના પડી. હું જરાક ગભરાઈ ગઈ ને ભયભીત થઈ. મારે શરીરે પરસેવો છૂટ્યો. મન ભમવા લાગ્યું. એ દશામાં ઉતાવળમાં આગળ વધતી હું આખરે અહીં આવી પહોંચી.
પેલા શાસ્ત્રી એ બધું સાંભળીને આશ્ચર્ય પામ્યા ને બોલ્યા : ‘સ્વામીજી, એક તરફ તમે મારી સાથે વાત કરી રહ્યા છો ને બીજી તરફ એ જ વખતે આ સ્ત્રીને દર્શન આપો છો એ કેવું આશ્ચર્યકારક ! તમારા અલૌકિક અનુગ્રહનો એવો કોઈ અનુભવ મને પણ આપો તો કેવું સારું !’
મહર્ષિ બીજું શું કહે ? એ કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવા બંધાયલા થોડા જ હતા ? છતાં પણ એમણે એટલું જણાવ્યું કે લક્ષ્મીને થયેલો અદભુત અનુભવ એ એમનો અહર્નિશ, નિત્યનિરંતર, વિચાર કરે છે માટે થયો છે. એ એની અસાધારણ શ્રદ્ધાભક્તિને આભારી છે.
મહર્ષિને માટે એવું સ્પષ્ટીકરણ સાવ સ્વાભાવિક હતું. એ આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર અથવા આત્માનુસંધાનને જ અગત્ય આપતા હોવાથી એવા બહારના અનુભવોને ઉત્તેજન ના આપતા ને ગૌણ ગણતા.