શ્રી રામસ્વામી અય્યર તિરુવણ્ણામલૈમાં પી. ડબલ્યુ. ડી. ના સુપરવાઈઝર હતા. એમણે અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં રહેતા બ્રાહ્મણ સ્વામી અથવા રમણ મહર્ષિ વિશે સાંભળેલું. એમના વિશે લોકો જુદાજુદા અભિપ્રાયો આપતા હોવાથી એમણે પોતે જ એમનાં દર્શન કરવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણયને અનુસરીને ઈ.સ. ૧૯૦૮ના એપ્રિલમાં એ એમના એક મિત્ર સાથે અરૂણાચલ પર આવી પહોંચ્યા.
પરંતુ એ મુલાકાત અધૂરી રહી ને સફળ ના થઈ. એનું મુખ્ય કારણ એમના મિત્ર હતા. એમને એ મુલાકાતમાં રસ ના પડવાથી તરત જ પાછા ફર્યા, ને કહેવા માંડ્યા કે મહર્ષિની મુલાકાતથી મળ્યું તો કશું નહિ પરંતુ વધારામાં વખતનો દુરુપયોગ થયો.
એ ઘટના પછી એકાદ મહિને એ મહર્ષિનાં દર્શન માટે ફરીવાર ચાલી નીકળ્યા. એ વખતે એમણે પોતાની સાથે કોઈને પણ લઈ જવાને બદલે એકલા જ પ્રસ્થાન કર્યું.
મહર્ષિ વિરૂપાક્ષી ગુફામાં શાંતિપૂર્વક બેઠેલા.
એમનાં દર્શનથી એમને આનંદ તો થયો જ, પરંતુ એમનું અંતર અવનવા ભાવોદ્રેકથી ભરાઈને નાચી ઊઠ્યું. એમણે પૂછ્યું :
‘આ પૃથ્વી પર પાપીઓના પરિત્રાણને માટે ઈસા મસીહ જેવા જુદાજુદા મહાત્માએ જન્મ લીધો છે. તો શું મારે માટે કોઈ જાતની આશા જ નથી ? ’
મહર્ષિએ કહ્યું : ‘છે. આશા છે. અવશ્ય છે.’
અય્યર અરૂણાચલ પરથી નીચે ઊતર્યા ત્યારે એમના અંતરમાં આશા હતી. એમના અંગેઅંગમાં ઉમંગ હતો. એમની આગળ એક નવી સરસ સુખમય સૃષ્ટિની શક્યતા ઊભી થઈ. એને સાકાર કરવાના સ્વપ્નમાં એ ડૂબી ગયા.
એમને કવિતા તથા સંગીત પર પ્રેમ હતો. એ બંને વિદ્યા કે કળાના સંસ્કારો એમને વારસામાં મળેલા. એ સરસ કાવ્યો રચી શકતા. મહર્ષિની બીજીવારની મુલાકાતને પરિણામે એમના અંતરમાંથી પ્રેમભક્તિથી ભરેલી, સમર્પણભાવથી સુવાસિત, નવી કવિતાનો આવિર્ભાવ થયો. એ વખતના એમના ભાવો કે વિચારોનો પરિચય એમની નોંધપોથીમાંથી સહેલાઈથી મળી રહે છે. મહર્ષિને માટેના એમના આત્મિક અનુરાગની અભિવ્યક્તિ કરતાં એમણે એમાં જણાવ્યું છે :
‘તમે મારા એકમાત્ર આધાર અને આશ્રય છો. તમારા સિવાય મારા સંતપ્ત આત્માનું શરણ બીજું કોઈ જ નથી. હું બીજા કોઈની પાસે નહિ જઈ શકું. તમે પુષ્પોની સુમધુર સુવાસિત માળા જેવા છો. તમારી સુધામય સૌરભની ઈચ્છાથી ભક્તોના ભ્રમર તમારી આજુબાજુ ફર્યા કરે છે ને તમારા ચરણનું શરણ લે છે.’
મહર્ષિનું આકર્ષણ અત્યંત અસાધારણ હતું. એથી પ્રેરાઈને અય્યર એમની પાસે અનુકૂળતા મળતાં અવારનવાર આવતા રહેતા અને એમના સમાગમમાં સુખાનુભૂતિ કરતા કે શાંતિ મેળવતા. જ્યારે બહારગામ જવાનું ના હોય ને તિરુવણ્ણામલૈમાં જ રહેવાનું હોય ત્યારે તો એ રાતનો સમગ્ર સમય એમની પાસે જ પસાર કરતા. સૂઈ રહેતા પણ ત્યાં જ. એ વખતે એમને અનેરી શાંતિ મળતી અને કેટલાક અવનવા અનુભવો પણ થયા કરતા. એકવાર રાતે મહર્ષિ શાંતિપૂર્વક ગુફામાં બેઠેલા. અડધા કલાકેક પછી એમણે અય્યર તરફ એકાએક દૃષ્ટિપાત કર્યો. એ દૃષ્ટિપાત એકદમ અસાધારણ હતો. એની સાથે જ અય્યરને લાગ્યું કે એમની અંદર કોઈક વિદ્યુતશક્તિનો પ્રવેશ થયો છે. એ વિલક્ષણ અનુભવથી એમને રોમાંચ થઈ આવ્યાં.
એની પહેલાં એ આમલીના વૃક્ષની નીચે બેઠેલા ત્યારે પણ એમના શરીરમાં કોઈક અવર્ણનીય ગહન પદાર્થે––કોઈક અચિંત્ય શક્તિએ પ્રવેશ કર્યો. એ શક્તિના સ્વરૂપને એ સમજી ના શક્યા. પરંતુ એના સંસ્પર્શથી એમના શરીરમાં આનંદ અને રસની નવી જ ધારા વહેવા લાગી.
મહર્ષિના સતત સમાગમને પરિણામે અય્યરને લાંબે વખતે એવું લાગ્યું કે જીવન બદલાઈ ગયું છે. એમનું મન તદ્દન સહેલાઈથી ને વધારે ને વધારે અંતર્મુખ થવા અને રહેવા લાગ્યું. મનને શાંત કરવા માટે હવે એમને પહેલાંની પેઠે પરિશ્રમ નહોતો કરવો પડતો. ધ્યાનમાં બેસતાંવેંત એમને એક પ્રકારની ઊંડી આંતરિક પ્રસન્નતાની પ્રાપ્તી થતી. મહર્ષિની શક્તિનો પ્રભાવ એમના આંતર મન પર પણ પડ્યો હોય એવું લાગવા માંડ્યું.
એમની નોંધપોથીમાં નોંધાયેલો મહર્ષિની કૃપાની પ્રતિતી કરાવતો એક બીજો અનુભવ પ્રસંગ જોઈ લઈએ.
એમને અપચાનો ભયંકર વ્યાધિ હોવાથી ખોરાક જરા પણ ના પચતો ને નિદ્રા પણ ના આવતી. એને લીધે શરીર અસ્વસ્થ ને મન બેચેન રહેતું. એક દિવસ એ મહર્ષિ પાસે બેઠેલા ત્યારે મહર્ષિએ એમના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન પૂછ્યો. એના ઉત્તરમાં એમણે સઘળી હકીકત કહી સંભળાવી. એ વખતે એમનું મગજ ગરમ હતું.
પરંતુ....થોડા વખતમાં જ એક અસાધારણ ચમત્કાર બન્યો. એને ચમત્કાર વિના બીજું કહી શકાય પણ શું ? એમનુ મગજ એકદમ ઠંડું થઈ ગયું. મહર્ષિએ કૃપા કરીને પોતાની વિશેષ શક્તિના પ્રયોગથી મગજની બધી જ ગરમીને ધીમે ધીમે દૂર કરી દીધી. એ અહેતુકી કૃપાનો અનુભવ કરીને અય્યર ભાવવિભોર ને ગદગદ્ બની ગયા.
એ અષાઢ વદ ત્રીજનો દિવસ હતો. થોડી વારમાં તો કોઈ ભક્ત સ્ત્રી મિષ્ટ પદાર્થો લઈને આવી પહોંચી. અય્યર એ વખતે મોટે ભાગે હલકા પ્રવાહી પદાર્થો પર રહેતા ને ભારે પદાર્થોનું સેવન ના કરતા. પરંતુ મહર્ષિના વધારે પડતા આગ્રહ અને આદેશને માન આપીને એમણે એ મિષ્ટ પદાર્થોનું એમના પ્રસાદ તરીકે સેવન કર્યું. એ રાતે એમને જીવનમાં કેટલેય વખતે ઘણી સારી નિદ્રા આવી. અપચાની ફરીયાદ પણ દૂર થઈ. એ જોઈને એમને આશ્ચર્ય થાય એ છેક સ્વાભાવિક હતું. એમની મહર્ષિ પરની શ્રદ્ધાભક્તિ આપોઆપ વધી પડી.
અય્યરના સંબંધીઓને એ વાતની માહિતી મળી ત્યારે એમને પણ ખૂબ ખૂબ આશ્ચર્ય થયું. એ મહર્ષિની મુલાકાત લેતા તે એમને પસંદ નહોતું પડતું, પણ હવે એમના વિચારો ને ભાવો બદલાયા. અય્યરનું ભોજન મહર્ષિની સંનિધિમાં અરૂણાચલ પર્વત પર જ પહોંચાડવામાં આવ્યું. અય્યરને એથી અપૂર્વ મદદ મળી. એમને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ. ખેદ એક જ વાતનો થયો કે મહર્ષિને એ બહુ મોડે મોડે ઓળખી શક્યા. છતાં પણ એ ઓળખવાનું નિરર્થક તો નહોતું જ.
એ અનુભવ પ્રસંગ પછી એમણે મહર્ષિને માટે લખેલા પોતાના કાવ્યમાં ભાવમય ભાષામાં જણાવ્યું :
‘તમે મારી ઉપર વરસાવેલી પરમકૃપાને માટે શું કહું ? એનું વર્ણન કેવી રીતે કરી બતાવું ? એને માટેની કૃતજ્ઞતાને કયા શબ્દોમાં કહી બતાવું ? તમે મનુષ્યો પર તો શું પણ ભ્રમરો, પોપટો, ખિસકોલીઓ, મયૂરો તથા વાનરો પર પણ અહેતુકી, વણમાગી, કૃપા વરસાવી છે.’
‘તમે સૌની ઉપર પ્રેમ રાખો છો. તમારી દૃષ્ટિ એટલી શક્તિશાળી છે કે તેથી આત્માને અપાર પ્રેરણા, પ્રકાશ તથા શાંતિ મળે છે. ગુરૂ શિષ્યના શિર પર હાથ કે પગ મૂકીને એને ધન્ય કરે છે એ તો સાંભળ્યું છે પરંતુ દૃષ્ટિની દિવ્યતાનો અનુભવ તો આજે જ કર્યો અને એ પણ કેવળ તમારી જ દ્વારા.’
મહર્ષિના સદુપદેશના સારભાગને પણ એમની નોંધપોથીમાંથી જ જોઈ લઈએ. એ સારભાગ ખૂબ જ ઉપયોગી છે :
‘પોતાના સ્વરૂપની વિસ્મૃતિ ના થવા દેવી એ ખૂબ જ જરૂરી છે. સ્વરૂપની વિસ્મૃતિને લીધે જ બધાં દુઃખો પેદા થાય છે.’
એના અનુસંધાનમાં એ લખે છે કે ‘હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે જ્યારે મારા સ્વરૂપને ભૂલી જઉં છું ત્યારે પશુ કરતાં બદતર બનું છું. પરંતુ સ્વરૂપની નિષ્ઠા કાયમ રાખું છું ત્યારે બૂરાઈઓથી મુક્ત રહું છું. હું કોણ છું એ જિજ્ઞાસાના અનુસંધાનમાં મારા અંતરમાં ડૂબકી મારું છું ત્યારે કેવો અનંત સુખાનુભવ કરું છું ! પ્રશ્નની પાછળ ઈચ્છા રહે છે : ને ઈચ્છાશક્તિ જેટલી ઓછી તેટલી સુખાનુભૂતિ વધારે થાય છે. એમાં હવે શંકા નથી.’
મહર્ષિ આત્મામાં આરૂઢ થયા હોવાથી અસાધારણ શક્તિથી સંપન્ન હતા. એમના સમાગમથી સાધકોનાં જીવનપરિવર્તન થતાં. અય્યર એના અદભુત ઉદાહરણરૂપ છે.