મહર્ષિ ખૂબ જ સંપત્તિશાળી છે એવી ભ્રાંત ધારણાથી પ્રેરાઈને ઈ.સ. ૧૯૨૪ના ઉનાળાના દિવસો દરમિયાન બે વાર ચોરોએ રાતે આશ્રમમાં ચોરી કરવાના દુષ્ટ હેતુથી પ્રવેશ કરેલો. પહેલીવાર માતા અલઘમ્માના સમાધિસ્થાનની દીવાલમાં કાણું પાડીને એ અંદર પ્રવેશીને કેટલીક વસ્તુઓને ઉપાડી ગયેલા અને બીજી વાર પ્રથમ પ્રસંગના એક જ અઠવાડિયા પછી એમણે એથી પણ વધારે મોટી હિંમતભરેલી ચોરી માટે યોજના ઘડીને આશ્રમની અંદર પ્રવેશ કરીને ભારે અનર્થ મચાવેલો. એ બીજો અમંગલ પ્રસંગ ખાસ ઉલ્લેખનીય છે.
ઈ.સ. ૧૯૨૪ના જુન મહિનાની છવ્વીસમી તારીખની અંધારી રાતે બનેલી એ પણ કરુણ ને ક્રૂર ઘટનાની સ્મૃતિથી અંતર આજે પણ સંવેદનશીલ થાય છે ને મનમાં વિચાર જાગે છે કે માણસ અજ્ઞાન તેમ જ કુસંસ્કારો અને કુટેવોને લીધે શું નથી કરતો ! એ જેમ દૈવી સંપત્તિથી સંપન્ન થઈને દેવતાતુલ્ય બની શકે છે તેમ આસુરી સંપત્તિના અધિકાર નીચે આવીને અસુર પણ બની શકે છે.
ઉનાળાની એ અંધારી રાતે આશ્રમવાસીઓ પોતપોતાના નિર્ધારિત સ્થાનમાં આરામ કરતા હતા. માતાની સમાધિની સામેના વિશાળ હોલમાં મહર્ષિ સૂઈ રહેલા અને એમના ચાર શિષ્યો હોલમાં જુદીજુદી બારીઓ પાસે આડા પડેલા. લગભગ મધ્યરાત્રીનો વખત વીતી ગયા પછી એ ચાર શિષ્યોમાંના બે શિષ્યો કુંજું સ્વામી તથા મસ્તાને હોલની બહારથી કોઈનો અવાજ સાંભળ્યો કે અંદર છ જણા સૂતા છે. એ સાંભળીને મસ્તાન તરત જ નીડરતાથી બોલી ઊઠ્યો કે કોણ છે ? પરંતુ ચોરોને ઉત્તર આપવાની ફુરસદ ન હતી. એમને ઉત્તર આપવામાં રસ પણ ન હતો. અંદર કોઈક જાગી ગયું છે એ જાણીને એમણે પોતાના કામને વહેલી તકે પતાવવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણયને અનુસરીને પોતાની પૂર્વયોજનાનુસાર બારીના કાચને તોડી નાખ્યા.
એમની પ્રવૃત્તિ જોઈને કુંજું સ્વામી અને મસ્તાને પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં વાર ના લાગી. આગંતુકો ઉપદ્રવકારી ચોર છે ને બદદાનતથી આવ્યા છે એ સમજી લઈને એ બંને બારી આગળની પોતાની પથારીઓને છોડી દઈને મહર્ષિની પાટ પાસે પહોંચી ગયા. ચોરો દોડીને મહર્ષિની બાજુની બારી પાસે આવ્યા. એમણે એનો કાચ પણ તોડી નાખ્યો. એ બધો કોલાહલ સાંભળીને જાગી ગયેલા મહર્ષિ ચોરોની પ્રવૃત્તિને નીરખતા શાંતિપૂર્વક બેસી રહ્યા. એમની આત્મનિષ્ઠાની જાણે કે આકરી કસોટી આવી પડી. પરંતુ એને મળતી કેટલીય પ્રતિકૂળ કસોટીઓમાંથી આજ સુધી એ સહીસલામત બહાર નીકળ્યા હોવાથી તદ્દન નિર્ભય ને નિશ્ચિંત બનીને બેસી રહ્યા.
પરંતુ ચોરો એટલા નિર્ભય ન હતા. ખરાબ કામ કરનારને ભય ઘેરી વળે છે. એનું મન કદી નિર્ભય ને નિશ્ચિંત નથી બની શકતું.
હોલનું ઉત્તર તરફનું દ્વાર ઉઘાડીને કુંજું બહાર જઈને બાજુની ઝૂંપડીમાંથી મહર્ષિના બીજા શિષ્ય રામકૃષ્ણને મદદ માટે બોલાવી લાવ્યા. એ દરમિયાન એ ખુલ્લા દ્વારમાંથી આશ્રમના કરુપ્પન અને જેક નામના બે કૂતરાઓ પણ આવી પહોંચ્યા. એ બંને જોરથી ભસવા માંડ્યા પણ ચોરો એમને નિર્દયતાપૂર્વક મારવા લાગ્યા. જેક નાસી ગયો.
હોલમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહેલા ચોરોને મહર્ષિએ અતિશય વિનય તથા શાંતિપૂર્વક મૃદુસ્વરે જણાવ્યું કે અમે બધા આશ્રમવાસીઓ છીએ. અમારી પાસે ચોરી કરવા લાયક સંપત્તિ નથી. છતાં પણ તમે ખુશીથી અંદર આવો અથવા આશ્રમમાંથી જે કાંઈ લઈ જવું હોય તે લઈ જાવ. અમે તમારું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચોરો માન્યા નહિ. માણસ મહાત્મા હોય તો પણ આટલી હદે ઉદાર અને ઉત્તમ બની શકે એની એમને સ્વપ્ને પણ કલ્પના ન હતી. એવો અનુભવ એમના અત્યાર સુધીના જીવનમાં એમને કદી પણ નહોતો થયો. એ હોલની બારી ઉખાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કુંજુંસ્વામી નવયુવાન હોવાથી એ જોઈને ઉત્તેજિત બની ગયા ને દક્ષિણ દિશાના બારણેથી બહાર જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એમની ઈચ્છા ચોરોનો સામનો કરવાની હતી. મહર્ષિએ એ ઈચ્છાને જાણીને એમને બહાર નીકળવાની ના પાડતાં જણાવ્યું :
‘આપણે આટલા બધા ઉત્તેજીત શા માટે બનવું જોઈએ ? એ એમનું કામ કરી રહ્યા છે. આપણે આપણા ધર્મને વળગી રહેવું જોઈએ. એમને જે કરવું હોય તે ભલે કરે. આપણો ધર્મ સહન કરવાનો ને ક્ષમા આપવાનો છે. આપણે એમની વચ્ચે ના આવીએ એ જ બરાબર છે.’
શિષ્યોએ ચોરોને અંદર આવીને જે કાંઈ લઈ જવું હોય તે લઈ જવાની અવારનવાર અરજ કરવા છતાં એ માન્યા નહિ. એમણે કુંજુંસ્વામીનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી. એ સાંભળીને કુંજુંસ્વામી બહાર નીકળી ગયા. મહર્ષિની સુરક્ષાની ભાવનાથી શહેરમાંથી મદદ મેળવવા માટે એ ખેતરોને રસ્તે ચાલી નીકળ્યા.
એ દરમિયાન રામકૃષ્ણે ચોરોને વધારે અને અનાવશ્યક ગજગ્રાહ કરવાને બદલે જે જોઈતું હોય તે લઈને વિદાય થવાની વિનતિ કરી પરંતુ એમની વિનતિ વ્યર્થ ગઈ. ચોરોએ કુટિરને બાળી નાખવાની ધમકી આપી. મહર્ષિએ એમને એવું જલદ પગલું ભરવાની ના પાડીને જણાવ્યું કે એના કરતાં તો અમે બધા બહાર નીકળી જઈએ છીએ. ચોરો એવું જ ચાહતા’તા. મહર્ષિ આશ્રમવાસીઓ સાથે બહાર નીકળવા તૈયાર થયા પરંતુ એવે કટોકટીને વખતે પણ જીવદયાને ના ભૂલ્યા. વ્યાધિગ્રસ્ત કૂતરા કરુપ્પનને ચોર લોકો મારી ના નાખે એટલા માટે સૌથી પહેલાં એમણે એને સલામત સ્થળે ખસેડવાની સૂચના કરી, અને એ સૂચનાનો અમલ થયા પછી એ એમના ત્રણ શિષ્યો સાથે ઉત્તર દિશા તરફના બારણામાંથી બહાર નીકળ્યા. ચોરોએ એ વખતે એમની ઉપર લાકડીઓના પ્રહાર કર્યા. એમને મન મહર્ષિ અને સામાન્ય આશ્રમવાસીઓ સૌ સરખા હતા. એમની સદબુદ્ધિ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હોવાથી એમણે મહર્ષિ પર પણ પ્રહાર કર્યો. એથી મહર્ષિને ડાબા સાથળ પર વાગ્યું પણ ખરું. છતાં પણ પોતાના સંતસ્વભાવને વફાદાર રહીને એમણે શાંતિ સાથે કહ્યું : ‘આટલાથી સંતોષ ના થયો હોય તો તમે મારા બીજા પગ પર પણ પ્રહાર કરી શકો છો. આ રહ્યો એ પગ.’
પરંતુ એમની ઉપર વધારે પ્રહાર કરવાની ચોરોની હિંમત ના ચાલી એટલે કે પછી રામકૃષ્ણે એમની આગળ આવીને એમની ઉપર થનારા પ્રહારને ઝીલી લેવાની ભાવનાથી પોતાના બંને હાથ ફેલાવી દીધા એટલે, ગમે તે કારણે પણ, એ બચી ગયા. બધા બહાર નીકળ્યા એટલે ચોરો બોલ્યા : ‘જો ત્યાંથી જરાક પણ આઘા પાછા થશો તો તમારાં મસ્તકને ધડથી અળગાં કરવામાં આવશે.’
એમની એ ધમકી સાંભળીને મહર્ષિ બોલ્યા :
‘અમે તો તમને સમસ્ત હોલ સુપ્રત કરી દીધો છે. તમને જે ઉચિત લાગે તે કરી શકો છો.’
એટલામાં તો એક ચોરે આવીને ફાનસની માગણી કરી એટલે મહર્ષિના આદેશને અનુસરીને રામકૃષ્ણે એને ફાનસ આપ્યું. બીજા ચોરે આવીને પેટીની ચાવી માગી પણ તે તો કુંજુંસ્વામી પાસે હતી અને એ બહાર ગયેલા. ચોરોને જણાવવામાં આવ્યું એટલે એમણે પેટીને તોડીને એમાંથી એક અસ્ત્રો, મૂર્તિઓના સુશોભન માટે તૈયાર કરવામાં આવેલી ચાંદીની પટ્ટીઓ, થોડાક ચોખા, કેરી અને એક મુલાકાતી ભક્તપુરૂષના છ રૂપિયા હાથ કર્યા. બધા મળીને આશ્રમની દસ જ રૂપિયાની માલમત્તા હાથમાં આવવાથી ઘણી મોટી સંપત્તિની આશામાં આવેલા ચોરો નિરાશ થયા ને મહર્ષિ પાસે આવીને લાકડીઓ ઉગામીને બોલ્યા : ‘પૈસા ક્યાં સંતાડ્યા છે ? પૈસાને રાખવાની જગ્યા ક્યાં છે ? ’ મહર્ષિએ જરા પણ ઉશ્કેરાટ વગર જણાવ્યું : ‘અમારી પાસે પૈસા ક્યાંથી હોય ? અમે તો ભિક્ષાન્ન પર જીવનારા સામાન્ય સાધુઓ છીએ.’
ચોરોએ ઉપરાઉપરી એ જ પ્રશ્ન પૂછી જોયો પરંતુ એનો એક જ સરખો અનુત્સાહવર્ધક ઉત્તર મળવાથી ચાલ્યા ગચા.
ચોરોના ચાલ્યા ગયા પછી મહર્ષિએ રામકૃષ્ણને અને બીજા ઈજા પામેલા આશ્રમવાસીઓને દવા લગાડવા કહ્યું તો રામકૃષ્ણે પૂછ્યું કે અમે તો દવા લગાડીશું; પરંતું તમારું શું ? તમારી દશા કેવી છે ? એ વખતે પોતાની પીડાની લેશ પણ દરકાર કર્યા વગર આશ્રમવાસીઓની પીડાને ઓછી કરવાના હેતુથી એમણે જરાક વિનોદમાં કહ્યું : ‘ હું પણ બાકાત થોડો રહ્યો છું ? મારી પણ બરાબર પૂજા કરવામાં આવી છે.’ રામકૃષ્ણે એ મહાપુરૂષના ડાબા સાથળને સૂજેલું જોયું. એથી એમના ગુસ્સાનો પાર ના રહ્યો. ત્યાં પડેલા એક લોઢાના મજબૂત સળિયાને ઉઠાવીને એમણે ચોરોની પાછળ જવાની અને એમની ખબર લેવાની પરવાનગી માગી. પરંતુ મહર્ષિ જેવા આદર્શ મહાપુરૂષ એવી અનુચિત પરવાનગી કેવી રીતે આપી શકે ? એમણે એમને સારી પેઠે સમજાવીને હિંસા, વિરોધ, વેરભાવ અથવા પ્રતિકારના માર્ગની ભયંકરતા ને નિરર્થકતા બતાવીને કહ્યું : ‘ આપણે સાધુઓ છીએ. આપણે આપણા ધર્મનો ત્યાગ ના કરવો જોઈએ. તમે તેમના પર પ્રહાર કરો તો સંભવ છે કે વધારે પડતી ઈજાને લીધે કોઈનું મૃત્યુ પણ થઈ જાય. એને લીધે લોકો ચોરોને નહિ પણ આપણને જ દોષ દે એ સ્વાભાવિક છે. એ લોકો –ચોરો તો બૂરા માર્ગે વળેલા છે. અજ્ઞાનથી અંધ બનેલા છે. એ સત્યનો વિચાર ના કરી શકે, પરંતુ આપણે તો ઉચિત––અનુચિતનો વિચાર કરીને એને વળગી રહેવું જોઈએ. કોઈવાર તમારી જીભ એકાએક તમારા દાંતની વચ્ચે આવીને ચગદાઈ જાય છે, એવે વખતે તમે દાંતને તોડી નાખો છો ?’
મહર્ષિના સદુપદેશથી રામકૃષ્ણની વેરભાવના શાંત થઈ.
રાતે બે વાગે ચોરો આશ્રમ છોડીને બહાર નીકળ્યા.
મહર્ષિની ઉપર એ ભયંકર પ્રતિકૂળ પ્રસંગની કશી જ અસર ના થઈ હોય તેમ એ સ્વસ્થ ચિત્તે શાંતિપૂર્વક બેસીને આત્મવિચાર કરવા લાગ્યા.
ચોરોના પ્રતિકૂળ પ્રસંગે એમની સ્થિતિપ્રજ્ઞતાની પૂરેપૂરી પ્રતીતિ કરાવી દીધી.
થોડા વખત પછી કુંજુંસ્વામી બે પોલીસ કોન્સ્ટેબલ સાથે આવી પહોંચ્યા. ઉત્તરના આંગણામાં શિષ્યો સાથે શાંતિપૂર્વક આધ્યાત્મિક વિષયોની વાતો કરતા બેઠેલા. કોન્સ્ટેબલોએ એમની પાસેથી બધી માહિતી માગી તો એમણે કહ્યું :
‘કોઈ અજ્ઞાની લોકોએ આશ્રમમાં પ્રવેશ કરેલો, પરંતુ ખાસ માલમત્તા ના મળવાથી અથવા એમનો પરિશ્રમ નિષ્ફળ જવાથી એ નિરાશ થઈને જતા રહ્યા.’
કોન્સ્ટેબલો તપાસ કરીને વિદાય થયાં.
એમણે બધું નોંધી લીધું.
એટલામાં તો આશ્રમમાં પૂજા કરનારા કિશોર મુનુસ્વામીએ એમની પાછળ જઈને એમને મહર્ષિને મારવામાં આવ્યાની ફરિયાદ કરી. એના પરિણામે એક હેડ કોન્સ્ટેબલ, સબઈન્સ્પેકટર, સર્કલ ઈન્સ્પેકટર તથા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસો સાથે આશ્રમમાં આવી પહોંચ્યા. મહર્ષિએ કોઈને માર માર્યાની વાત ના કહી અને ચોરોની વિરૂદ્ધ એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો.
પરંતુ કુદરત પોતાનું કામ કરતી રહી.
એને લીધે એ ઘટના પછી છઠ્ઠે સાતમે દિવસે માહિતિ મળી કે કલ્લકુરિચિ તાલુકાના એ ત્રણે ચોર મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે.
બીજે મહિને એમના પરનો કેસ ચાલ્યો અને એમને સજા થઈ.