મહર્ષિનું જીવનવૃત્તાંત અંગ્રેજીમાં લખનાર ભક્ત શ્રી બી.વી. નરસિંહ સ્વામીને આશ્રમના કૂતરા સંબંધમાં વરસો પહેલાં એકવાર વાત નીકળતાં જે કહેલું તે ખાસ નોંધવા જેવું છે. એમણે જણાવેલું : ‘કરુપ્પન એના નામ પ્રમાણે આખા અંગે કાળો હતો. એ ઉચ્ચ આદતો તથા સિદ્ધાંતોમાં રુચિ રાખતો. અમે વિરૂપાક્ષી ગુફામાં રહેતા ત્યારે કોઈ કોઈ વાર એની કાળી આકૃતિને થોડેક દૂરથી જોઈ શકતા. કેટલીક વાર ઝાડપાન પાછળથી એનું મોઢું જ દેખાતું. એ વૈરાગ્યવાન હોય ને કોઈનો સંસર્ગ ના ચાહતો હોય એવી છાપ પડતી. અમે એના વૈરાગ્ય ને સ્વાતંત્ર્યને માન આપતા અને એના સ્થાનની નજીક એને માટેનું ભોજન મૂકી દેતા. એકવાર અમે પર્વત પર ચઢી રહેલા ત્યારે એણે એકાએક અમારા માર્ગની વચ્ચે આવીને મારી તરફ પ્રેમથી કૂદીને પૂંછડી પટપટાવવા માંડી. એણે એ આખીયે મંડળીમાંથી પોતાના પ્રેમને પ્રકટ કરવા માટે મને જ કેમ પસંદ કર્યો એ એક આશ્ચર્ય હતું. ત્યારથી એણે એક આશ્રમવાસી તરીકે રહેવા માંડ્યુ.
‘એનો આત્મા ખરેખર ઉચ્ચ હતો અને સેવાભાવથી સંપન્ન. ધીરે ધીરે એણે એકાંતિક સ્વભાવને છોડી દઈને માયાળુ થવાનું શરૂ કર્યું. એ સાર્વત્રિક ભ્રાતૃભાવના આદર્શમાં વિશ્વાસ રાખતો. દરેક મુલાકાતી અથવા આશ્રમવાસી સાથે ભળી જઈને ગેલ કરતાં એ એના ખોળામાં અથવા એની સોડમાં બેસી જતો. કેટલાક એને પસંદ કરતા તો કેટલાક એનાથી દૂર રહેતા. પરંતુ એ પોતાના પ્રયત્નોમાં પાછો ના પડતો. કોઈ વાર એને શાંત રહેવાનો આદેશ આપવામાં આવતો તો આશ્રમના એકાદ આદર્શ સાધુની પેઠે એનું પાલન કરતો.
‘એકવાર અમારી ગુફાની બાજુના એક બિલીવૃક્ષ પાસે બેસીને એક જુનવાણી બ્રાહ્મણ મંત્રજપ કરતો’તો ત્યારે એ એની પાસે પહોંચ્યો. બ્રાહ્મણ કૂતરાઓને અપવિત્ર માની એમનાથી દૂર રહેતો, તો પણ કરુપ્પન એની પાસે જવા લાગ્યો. એ બ્રાહ્મણની લાગણીનો ખ્યાલ કરીને એક આશ્રમવાસીએ એને ત્યાં જતો અટકાવવા માટે લાકડી ઉગામીને એની ઉપર ધીમેથી પ્રહાર પણ કર્યો. તે પછી કરુપ્પન બૂમ પાડતો નાસી ગયો.
‘એણે એ દિવસથી આશ્રમનો ત્યાગ કર્યો અને એ પછી એ દેખાયો જ નહિ. એનો સ્વભાવ જ એવો સંવેદનશીલ અથવા લાગણીપ્રધાન હતો કે એકવાર જ્યાં એની સાથે બૂરો વર્તાવ કરવામાં આવતો ત્યાં એ ફરીવાર પગ જ ના મૂક્તો. પેલા આશ્રમવાસીને એકવાર પહેલાં સાવધાન કરવામાં આવેલો તો પણ એ કૂતરાના આદર્શો અને સ્વભાવથી બરાબર માહિતગાર ના હોવાથી એ એને મારવાની મોટી, મહાભંયકર ભૂલ કરી બેઠો. પહેલાં પલનિ સ્વામી વાણી ને વર્તનમાં કરુપ્પન પ્રત્યે કડકાઈ રાખતા. એક દિવસ એમના કડક વ્યવહારની અસર એટલી બધી ખરાબ થઈ કે વરસાદની ઋતુની ઠંડી રાતે કરુપ્પને આશ્રમના આંગણાનો ત્યાગ કર્યો. એ આશ્રમથી થોડે દૂર પડેલી કોલસાની કોથળી પર પડી રહ્યો. બીજે દિવસે સવારે એને પાછો બોલાવ્યો ત્યારે જ એ પાછો ફર્યો.
’એક બીજા નાના કૂતરાની કથા પણ એવી જ રસપ્રદ છે. વિરૂપાક્ષી ગુફામાં અમારી સાથે રહેતા એ કૂતરા પર પલનિ સ્વામીએ થોડાં વરસો પહેલાં પ્રહાર કર્યો હતો. એ પ્રહારથી પીડિત થઈને એ શંખતીર્થ તળાવની દિશામાં ગયો. થોડા વખત પછી એની કાયા એ તળાવના પાણી પર તરવા લાગી. પલનિ સ્વામીને ને બીજા બધાને તરત કહેવામાં આવ્યું કે કૂતરાઓ અને આશ્રમમાં રહેતાં બીજા પ્રાણીઓ બુદ્ધિશાળી છે અને સિદ્ધાંતવાદી છે; માટે એમની સાથે ખરાબ વર્તન ના કરાવું જોઈએ. કેવા કેવા અદભુત આત્માઓ એમનાં શરીરોમાં રહીને જીવી રહ્યા છે અને આપણા સંસર્ગમાં રહીને એમનાં અધૂરા રહેલાં કર્મોનો કયો ફળભોગ પૂરો કરી રહ્યા છે તેની ખબર કોને પડે છે ?’
આશ્રમમાં રહેતાં અસાધારણ બુદ્ધિમત્તા કે ચતુરતાવાળાં કેટલાંક કૂતરાંઓ અજાણ્યાના માર્ગદર્શકનું કામ પણ કરી બતાવતાં. કમળા, સેગપ્પન અને એવાં બીજાં કૂતરાંઓ અપરિચિતોને અરૂણાચલ પર્વત પર ફેરવતાં. મહર્ષિ ફક્ત એટલું જ કહેતા : ‘કમળા, આમને લઈને બધું બતાવી આવ તો !’ અને કમળા એ આજ્ઞાનું પાલન કરતાં નવાગંતુક દર્શનાર્થીને ગુફા, તળાવ, મૂર્તિઓ તથા જોવા જેવું બધું જ બતાવતી અને પાછી લાવતી.
જેકની અંદર પણ આજ્ઞાકારિતા, ચતુરતા અને સંવેદનશીલતાનો સમન્વય થયેલો દેખાતો. એક વાર મહર્ષિ બીજા કેટલાક ભક્તો સાથે વિરૂપાક્ષી ગુફામાંથી અરૂણાચલ પર્વત પર પરિભ્રમણ કરવા નીકળ્યા. એ પર્વતીય પથ પરથી જંગલમાંથી પસાર થતા આગળ વધવા માગતા’તા. ગુફાની નજીક બેઠેલા જેકને જોઈને બહાર નીકળતી વખતે મહર્ષિએ કહ્યું : ‘ અમે ફરવા જઈએ છીએ તો તું હવે શહેરમાં જા.’
એ બધા પર્વત પર દક્ષિણ તરફ આગળ વધ્યા. એકાદ માઈલ જેટલું અંતર કાપ્યા પછી એમણે જોયું તો જેક મહર્ષિની આજ્ઞાનું પાલન કરતો હોય તેમ પર્વત પરથી શહેરની દિશામાં નીચે ઊતરતો દેખાયો. થોડાક વખત પછી એ દેખાતો બંધ થયો.
થોડુંક વધારે અંતર કાપ્યા પછી એમણે ફરીવાર જોયું તો એ નીચે ઊતરીને ફરી પાછો ઉપર ચઢેલો અને એમની પ્રતીક્ષા કરતો એમના માર્ગમાં શાંતિપૂર્વક ઊભો રહેલો. એને જોઈને મહર્ષિ બોલી ઊઠ્યા :
‘અમારી સાથે આવવાને બદલે તું સીધો આશ્રમમાં જ પહોંચી જા એ બરાબર છે. ’
કૂતરાને એ શબ્દો પસંદ તો ના પડ્યા, પરંતુ મહાકવિ કાલિદાસના શબ્દોમાં ‘आज्ञा गुरूणांह्यविचारणीया ’ અર્થાત્ મોટા માણસો, વડીલો કે ગુરૂજનોની આજ્ઞા કોઈ પણ પ્રકારના વિરોધી વિચાર વિના પાળવી જ જોઈએ એ ઉક્તિને માન આપતો હોય તેમ એ ઉદાસ થઈને આશ્રમ તરફ આગળ વધ્યો.
જેકમાં બીજા સદગુણો પણ નહોતા દેખાતા એમ નહિ. એ એક મહાન તપસ્વી કે સંયમી હતો અને નીરવતા તથા શાંતિને પસંદ કરતો. સવારે એ દેવદાસીના ઘરમાં ઈશ્વરને અર્પણ કરવામાં આવેલા પ્રસાદનો નાસ્તા તરીકે અંગીકાર કરતો, પછી પૂજારી સાથે અરૂણાચલ પર્વત પરના મંદિરે જતો, અને પૂજારીનો સાથ ત્યાં જ છોડી દઈને મહર્ષિને મળવા વિરૂપાક્ષી ગુફામાં જઈને બાજુની ગુફામાં શાંતિપૂર્વક મૌન ધારણ કરીને બેસી રહેતો. કોઈ બીજા કૂતરાઓ સાથે ફરવાનું કે લડવાનું એને કદી પણ ના ગમતું. સવારે નવથી સાડા નવ દરમિયાન બહાર નીકળીને પર્વતની તળેટીના મંદિરનું નૈવેદ્ય મેળવતો ને પોતાની પ્રિય ગુફામાં પાછો ફરતો. આશ્રમમાં જે કાંઈ મળતું એથી એ સંતોષ પામતો ને ફરીવાર ગ્રહણ કરવાની ઈચ્છા ના રાખતો. સાંજે એ જ દેવદાસીને ઘેર રાત્રીભોજન માટે પહોંચી જતો. ત્યાં જે મળતું તે ખાઈને એક મઠમાં પેલા પૂજારી પાસે સૂઈ રહેતો. એનું જીવન સાધક અથવા સાધુનું જીવન હતું. એકવાર એક ચિત્તાએ એને પકડ્યો ત્યારે પૂજારીએ બૂમ પાડવાથી ચિત્તો એને છોડીને નાસી ગયો. એ વખતે તો એની રક્ષા થઈ પરંતુ પાછળથી ઈ.સ. ૧૯૦૫–૬માં એ જ ચિત્તાના હાથમાં સપડાઈને કહે છે કે એ મૃત્યુ પામ્યો.
મહર્ષિ એમના સમાગમમાં આવનારાં સઘળાં પ્રાણીઓ પર પ્રેમ રાખતા. એમનો એમની સાથેનો વ્યવહાર વિશદ, સ્વાર્થરહિત અને ઉત્તમ રહેતો. એ એમની સાથે વાતો કરતા અને એ સમજી તેમ જ પાળી શકે એવી સાદીસીધી સૂચનાઓ પૂરી પાડતા. એ એમનાં સુખદુઃખનું, ભોજનનું, સ્નાનનું, શયનનું અને એમની સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. એ એમનો ઉલ્લેખ આશ્રમવાસીઓ તરીકે જ કરતા અને આશ્રમનાં બાળકોની જેમ જ એમને સૌથી પહેલાં જમાડવાનો આગ્રહ રાખતા. એમને જમાડ્યા પછી ક્ષુધાર્ત યાચકો કે દરિદ્રનારાયણોને જમાડવામાં આવતા અને સૌથી છેલ્લે મહર્ષિ, આશ્રમવાસીઓ અને દર્શનાર્થીઓ ભોજન કરતા. દરરોજ ભોજન કે નાસ્તો કરતી વખતે બધા જ પ્રસંગે એ પરિપાટીનું પાલન કરવામાં આવતું. આશ્રમને માટે એ પરિપાટી સ્વાભાવિક બની ગયેલી.
મહર્ષિનું જીવનવૃત્તાંત અંગ્રેજીમાં લખનાર ભક્ત શ્રી બી.વી. નરસિંહ સ્વામીને આશ્રમના કૂતરા સંબંધમાં વરસો પહેલાં એકવાર વાત નીકળતાં જે કહેલું તે ખાસ નોંધવા જેવું છે. એમણે જણાવેલું : ‘કરુપ્પન એના નામ પ્રમાણે આખા અંગે કાળો હતો. એ ઉચ્ચ આદતો તથા સિદ્ધાંતોમાં રુચિ રાખતો. અમે વિરૂપાક્ષી ગુફામાં રહેતા ત્યારે કોઈ કોઈ વાર એની કાળી આકૃતિને થોડેક દૂરથી જોઈ શકતા. કેટલીક વાર ઝાડપાન પાછળથી એનું મોઢું જ દેખાતું. એ વૈરાગ્યવાન હોય ને કોઈનો સંસર્ગ ના ચાહતો હોય એવી છાપ પડતી. અમે એના વૈરાગ્ય ને સ્વાતંત્ર્યને માન આપતા અને એના સ્થાનની નજીક એને માટેનું ભોજન મૂકી દેતા. એકવાર અમે પર્વત પર ચઢી રહેલા ત્યારે એણે એકાએક અમારા માર્ગની વચ્ચે આવીને મારી તરફ પ્રેમથી કૂદીને પૂંછડી પટપટાવવા માંડી. એણે એ આખીયે મંડળીમાંથી પોતાના પ્રેમને પ્રકટ કરવા માટે મને જ કેમ પસંદ કર્યો એ એક આશ્ચર્ય હતું. ત્યારથી એણે એક આશ્રમવાસી તરીકે રહેવા માંડ્યુ.
‘એનો આત્મા ખરેખર ઉચ્ચ હતો અને સેવાભાવથી સંપન્ન. ધીરે ધીરે એણે એકાંતિક સ્વભાવને છોડી દઈને માયાળુ થવાનું શરૂ કર્યું. એ સાર્વત્રિક ભ્રાતૃભાવના આદર્શમાં વિશ્વાસ રાખતો. દરેક મુલાકાતી અથવા આશ્રમવાસી સાથે ભળી જઈને ગેલ કરતાં એ એના ખોળામાં અથવા એની સોડમાં બેસી જતો. કેટલાક એને પસંદ કરતા તો કેટલાક એનાથી દૂર રહેતા. પરંતુ એ પોતાના પ્રયત્નોમાં પાછો ના પડતો. કોઈ વાર એને શાંત રહેવાનો આદેશ આપવામાં આવતો તો આશ્રમના એકાદ આદર્શ સાધુની પેઠે એનું પાલન કરતો.
‘એકવાર અમારી ગુફાની બાજુના એક બિલીવૃક્ષ પાસે બેસીને એક જુનવાણી બ્રાહ્મણ મંત્રજપ કરતો’તો ત્યારે એ એની પાસે પહોંચ્યો. બ્રાહ્મણ કૂતરાઓને અપવિત્ર માની એમનાથી દૂર રહેતો, તો પણ કરુપ્પન એની પાસે જવા લાગ્યો. એ બ્રાહ્મણની લાગણીનો ખ્યાલ કરીને એક આશ્રમવાસીએ એને ત્યાં જતો અટકાવવા માટે લાકડી ઉગામીને એની ઉપર ધીમેથી પ્રહાર પણ કર્યો. તે પછી કરુપ્પન બૂમ પાડતો નાસી ગયો.
‘એણે એ દિવસથી આશ્રમનો ત્યાગ કર્યો અને એ પછી એ દેખાયો જ નહિ. એનો સ્વભાવ જ એવો સંવેદનશીલ અથવા લાગણીપ્રધાન હતો કે એકવાર જ્યાં એની સાથે બૂરો વર્તાવ કરવામાં આવતો ત્યાં એ ફરીવાર પગ જ ના મૂક્તો. પેલા આશ્રમવાસીને એકવાર પહેલાં સાવધાન કરવામાં આવેલો તો પણ એ કૂતરાના આદર્શો અને સ્વભાવથી બરાબર માહિતગાર ના હોવાથી એ એને મારવાની મોટી, મહાભંયકર ભૂલ કરી બેઠો. પહેલાં પલનિ સ્વામી વાણી ને વર્તનમાં કરુપ્પન પ્રત્યે કડકાઈ રાખતા. એક દિવસ એમના કડક વ્યવહારની અસર એટલી બધી ખરાબ થઈ કે વરસાદની ઋતુની ઠંડી રાતે કરુપ્પને આશ્રમના આંગણાનો ત્યાગ કર્યો. એ આશ્રમથી થોડે દૂર પડેલી કોલસાની કોથળી પર પડી રહ્યો. બીજે દિવસે સવારે એને પાછો બોલાવ્યો ત્યારે જ એ પાછો ફર્યો.
’એક બીજા નાના કૂતરાની કથા પણ એવી જ રસપ્રદ છે. વિરૂપાક્ષી ગુફામાં અમારી સાથે રહેતા એ કૂતરા પર પલનિ સ્વામીએ થોડાં વરસો પહેલાં પ્રહાર કર્યો હતો. એ પ્રહારથી પીડિત થઈને એ શંખતીર્થ તળાવની દિશામાં ગયો. થોડા વખત પછી એની કાયા એ તળાવના પાણી પર તરવા લાગી. પલનિ સ્વામીને ને બીજા બધાને તરત કહેવામાં આવ્યું કે કૂતરાઓ અને આશ્રમમાં રહેતાં બીજા પ્રાણીઓ બુદ્ધિશાળી છે અને સિદ્ધાંતવાદી છે; માટે એમની સાથે ખરાબ વર્તન ના કરાવું જોઈએ. કેવા કેવા અદભુત આત્માઓ એમનાં શરીરોમાં રહીને જીવી રહ્યા છે અને આપણા સંસર્ગમાં રહીને એમનાં અધૂરા રહેલાં કર્મોનો કયો ફળભોગ પૂરો કરી રહ્યા છે તેની ખબર કોને પડે છે ?’
આશ્રમમાં રહેતાં અસાધારણ બુદ્ધિમત્તા કે ચતુરતાવાળાં કેટલાંક કૂતરાંઓ અજાણ્યાના માર્ગદર્શકનું કામ પણ કરી બતાવતાં. કમળા, સેગપ્પન અને એવાં બીજાં કૂતરાંઓ અપરિચિતોને અરૂણાચલ પર્વત પર ફેરવતાં. મહર્ષિ ફક્ત એટલું જ કહેતા : ‘કમળા, આમને લઈને બધું બતાવી આવ તો !’ અને કમળા એ આજ્ઞાનું પાલન કરતાં નવાગંતુક દર્શનાર્થીને ગુફા, તળાવ, મૂર્તિઓ તથા જોવા જેવું બધું જ બતાવતી અને પાછી લાવતી.
જેકની અંદર પણ આજ્ઞાકારિતા, ચતુરતા અને સંવેદનશીલતાનો સમન્વય થયેલો દેખાતો. એક વાર મહર્ષિ બીજા કેટલાક ભક્તો સાથે વિરૂપાક્ષી ગુફામાંથી અરૂણાચલ પર્વત પર પરિભ્રમણ કરવા નીકળ્યા. એ પર્વતીય પથ પરથી જંગલમાંથી પસાર થતા આગળ વધવા માગતા’તા. ગુફાની નજીક બેઠેલા જેકને જોઈને બહાર નીકળતી વખતે મહર્ષિએ કહ્યું : ‘ અમે ફરવા જઈએ છીએ તો તું હવે શહેરમાં જા.’
એ બધા પર્વત પર દક્ષિણ તરફ આગળ વધ્યા. એકાદ માઈલ જેટલું અંતર કાપ્યા પછી એમણે જોયું તો જેક મહર્ષિની આજ્ઞાનું પાલન કરતો હોય તેમ પર્વત પરથી શહેરની દિશામાં નીચે ઊતરતો દેખાયો. થોડાક વખત પછી એ દેખાતો બંધ થયો.
થોડુંક વધારે અંતર કાપ્યા પછી એમણે ફરીવાર જોયું તો એ નીચે ઊતરીને ફરી પાછો ઉપર ચઢેલો અને એમની પ્રતીક્ષા કરતો એમના માર્ગમાં શાંતિપૂર્વક ઊભો રહેલો. એને જોઈને મહર્ષિ બોલી ઊઠ્યા :
‘અમારી સાથે આવવાને બદલે તું સીધો આશ્રમમાં જ પહોંચી જા એ બરાબર છે. ’
કૂતરાને એ શબ્દો પસંદ તો ના પડ્યા, પરંતુ મહાકવિ કાલિદાસના શબ્દોમાં ‘आज्ञा गुरूणांह्यविचारणीया ’ અર્થાત્ મોટા માણસો, વડીલો કે ગુરૂજનોની આજ્ઞા કોઈ પણ પ્રકારના વિરોધી વિચાર વિના પાળવી જ જોઈએ એ ઉક્તિને માન આપતો હોય તેમ એ ઉદાસ થઈને આશ્રમ તરફ આગળ વધ્યો.
જેકમાં બીજા સદગુણો પણ નહોતા દેખાતા એમ નહિ. એ એક મહાન તપસ્વી કે સંયમી હતો અને નીરવતા તથા શાંતિને પસંદ કરતો. સવારે એ દેવદાસીના ઘરમાં ઈશ્વરને અર્પણ કરવામાં આવેલા પ્રસાદનો નાસ્તા તરીકે અંગીકાર કરતો, પછી પૂજારી સાથે અરૂણાચલ પર્વત પરના મંદિરે જતો, અને પૂજારીનો સાથ ત્યાં જ છોડી દઈને મહર્ષિને મળવા વિરૂપાક્ષી ગુફામાં જઈને બાજુની ગુફામાં શાંતિપૂર્વક મૌન ધારણ કરીને બેસી રહેતો. કોઈ બીજા કૂતરાઓ સાથે ફરવાનું કે લડવાનું એને કદી પણ ના ગમતું. સવારે નવથી સાડા નવ દરમિયાન બહાર નીકળીને પર્વતની તળેટીના મંદિરનું નૈવેદ્ય મેળવતો ને પોતાની પ્રિય ગુફામાં પાછો ફરતો. આશ્રમમાં જે કાંઈ મળતું એથી એ સંતોષ પામતો ને ફરીવાર ગ્રહણ કરવાની ઈચ્છા ના રાખતો. સાંજે એ જ દેવદાસીને ઘેર રાત્રીભોજન માટે પહોંચી જતો. ત્યાં જે મળતું તે ખાઈને એક મઠમાં પેલા પૂજારી પાસે સૂઈ રહેતો. એનું જીવન સાધક અથવા સાધુનું જીવન હતું. એકવાર એક ચિત્તાએ એને પકડ્યો ત્યારે પૂજારીએ બૂમ પાડવાથી ચિત્તો એને છોડીને નાસી ગયો. એ વખતે તો એની રક્ષા થઈ પરંતુ પાછળથી ઈ.સ. ૧૯૦૫–૬માં એ જ ચિત્તાના હાથમાં સપડાઈને કહે છે કે એ મૃત્યુ પામ્યો.
મહર્ષિ એમના સમાગમમાં આવનારાં સઘળાં પ્રાણીઓ પર પ્રેમ રાખતા. એમનો એમની સાથેનો વ્યવહાર વિશદ, સ્વાર્થરહિત અને ઉત્તમ રહેતો. એ એમની સાથે વાતો કરતા અને એ સમજી તેમ જ પાળી શકે એવી સાદીસીધી સૂચનાઓ પૂરી પાડતા. એ એમનાં સુખદુઃખનું, ભોજનનું, સ્નાનનું, શયનનું અને એમની સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. એ એમનો ઉલ્લેખ આશ્રમવાસીઓ તરીકે જ કરતા અને આશ્રમનાં બાળકોની જેમ જ એમને સૌથી પહેલાં જમાડવાનો આગ્રહ રાખતા. એમને જમાડ્યા પછી ક્ષુધાર્ત યાચકો કે દરિદ્રનારાયણોને જમાડવામાં આવતા અને સૌથી છેલ્લે મહર્ષિ, આશ્રમવાસીઓ અને દર્શનાર્થીઓ ભોજન કરતા. દરરોજ ભોજન કે નાસ્તો કરતી વખતે બધા જ પ્રસંગે એ પરિપાટીનું પાલન કરવામાં આવતું. આશ્રમને માટે એ પરિપાટી સ્વાભાવિક બની ગયેલી.