અરૂણાચલ પર આસુરી સંપત્તિના સાકાર સ્વરૂપ સરખો એક બીજો સાધુ હતો. એનો ઉલ્લેખ પણ પ્રસંગોપાત્ત કરી લઈએ. એનું નામ મહાસ્વામી હતું. અલબત્ત, એનું અસલ નામ તો જુદું હતું પણ એ મહાસ્વામીના નામથી ઓળખાતો. એણે વેદાંતના વિવિધ ગ્રંથોનું અધ્યયન કરેલું. એ ઉપરાંત એ મંત્રતંત્રમાં નિષ્ણાત હતો અને સંગીતનું પણ સારું જ્ઞાન ઘરાવતો. એવી બધી યોગ્યતાને લીધે એ અહંકારી અને આડંબરી બની ગચેલો. મહર્ષિ એવા જ્ઞાનથી રહિત હોવાથી એમના કરતાં એ પોતાને શ્રેષ્ઠ સમજતો ને વારંવાર પોતાના ભક્તોને કહેતો કે ‘મહર્ષિમાં કોઈ પ્રકારની યોગ્યતા નથી દેખાતી. એ તો મૂર્ખ છે. એની પાસે અજ્ઞાનને લીધે કેટલા બધા લોકો ભેગા થાય છે તો પણ એનામાં બુદ્ધિ નથી. કોઈક બીજો બુદ્ધિશાળી માણસ હોત તો આટલા બધા લોકોનો લાભ લઈને ન્યાલ બની જાત. એની જગ્યાએ હું હોત તો ખૂબ જ સંપત્તિવાન બની જાત. અરૂણાચલની તળેટીમાં એક સરસ મોટો મઠ બનાવી દેત. પણ એ તો અજ્ઞાની ને મૂર્ખ છે એટલે જડની જેમ બેસી રહે છે ને બીજું કશું જ નથી કરતો. કાયા પર કૌપીન પહેર્યું છે ને મૌનવ્રત રાખ્યું છે એટલે લોકો એને મોટો સિદ્ધ માની બેઠા છે. એનામાં કોઈને આપવા જેવું કશું જ્ઞાન હોય તો બોલે ને ? અજ્ઞાની મૌન ના રાખે તો બીજું કરે પણ શું ? એને મારા જેવો સમર્થ સદગુરૂ નથી મળ્યો : નહિ તો એનું જીવન આવી રીતે બરબાદ ના બની ગયું હોત. લોકો એના કરતાં પણ વધારે અજ્ઞાની, જડ કે મૂર્ખ છે એટલે તો એની આગળ એકઠા થાય છે. બાકી એનામાં શું બળ્યું છે ? એના કરતાં તપમાં, જ્ઞાનમાં, સાધનામાં, સિદ્ધિમાં, બળમાં, રૂપમાં તથા કલાપ્રિયતામાં હું હજાર દરજ્જે શ્રેષ્ઠ છું. લોકો એની ઉપર શા માટે તૂટી પડે છે તે જ નથી સમજાતું. એનું ભાગ્ય ઊઘડી ગયું છે એમ જ સમજવું જોઈએ. નહિ તો એની તરફ કોઈ દેખત પણ નહિ. કલિયુગમાં પાખંડ જ વધારે પૂજાય છે એટલે તો મારા જેવા સાચા સિદ્ધ પુરૂષનો ભાવ બહુ ઓછો પુછાય છે. ’
મહાસ્વામી મહર્ષિ પ્રત્યેના દ્વેષભાવથી પ્રેરાઈને ફર્યા કરતો ને મહર્ષિને હાનિ પહોંચાડવાની યોજનાઓ ઘડતો. એ વખતે મહર્ષિ પરના બધા પત્રો ‘ગિરિનિવાસી બ્રાહ્મણ સ્વામી’ ના નામથી આવ્યા કરતા. એ પણ અરૂણાચલ પર રહેતો હોવાથી પોતાને ગિરિનિવાસી માનતો તથા બ્રાહ્મણ સ્વામી તરીકે ઓળખાવતો ને પોસ્ટ ઑફિસમાંથી મહર્ષિના પત્રો લઈ લેતો. મહર્ષિ અને એમના ભક્તો કે શિષ્યો એની એ પ્રવૃત્તિથી પરિચિત થયા ત્યારથી વધારે જાગ્રત કે સાવધાન બન્યા. એકવાર પ્રવાસેથી પાછા ફર્યા પછી મહાસ્વામી સીધો મહર્ષિ પાસે આવીને કહેવા લાગ્યો : ‘હું તારા પ્રત્યેના પવિત્ર પ્રખર પ્રેમને લીધે જ તારા પાસે આવ્યો છું. તારા કલ્યાણ કાજે કરુણાથી પ્રેરાઈને તને દત્તાત્રેય ભગવાનનો મંત્ર આપવા માગું છું. તેથી તને મોટો લાભ થવાનો હોવાથી તેને તું લઈ લે.’
મહર્ષિ શાંત રહ્યા એટલે એણે પોતાના પ્રસ્તાવની પ્રતીતિ કરાવતાં કહ્યું :
‘હું કાંઈ તારા કલ્યાણ માટે મારા સંકલ્પને અનુસરીને નથી આવ્યો. ભગવાને મને રાતે સ્વપ્નમાં દર્શન આપીને તને મંત્ર આપવાની આજ્ઞા કરી છે. એમના આદેશની અવજ્ઞા મારાથી કદી પણ ના કરી શકાય. એવો વિચાર પણ ના થઈ શકે.’
મહર્ષિને હવે વાચા ફૂટી એમણે જણાવ્યું :
‘ભગવાને તમને આદેશ આપ્યો એ તો સાચું, પણ હજુ મને ક્યાં આપ્યો છે ? તમારો આદેશ તો કેવળ તમારે માટે થયો ગણાય. મને પણ જો ભગવાન દર્શન આપીને એવી જ રીતે મંત્ર લેવાનો આદેશ આપે તો મંત્ર લેવાનો વિચાર કરું ખરો. ’
મહાસ્વામી એ તર્કને માટે તૈયાર ન હતો. એને એનો ઉત્તર ના જડ્યો. છતાં પણ બોલ્યો : ‘મંત્ર મોટો નથી, નાનો છે, માટે લઈ લે ! ’
પરંતુ મહર્ષિ કૃતનિશ્ચય, સ્વાનુભવસિદ્ધ અને આત્મારામ હતા. એમને સહેલાઈથી ચળાવી શકાય તેમ ન હતું. એ સુદૃઢ સ્વરે મક્કમતાપૂર્વક બોલ્યા :
‘મંત્રને મેળવવાથી શો લાભ થાય તેમ છે ? મને મંત્રજપની જરા પણ ઈચ્છા નથી. એને માટે મારા મનમાં લેશ પણ આકર્ષણ નથી રહ્યું.’
મહાસ્વામીને નિરાશા થઈ. એના પાસા પોબાર ના પડવાથી એના રોષનો પાર ના રહ્યો. એનો વેરભાવ વધી ગયો.
એનું દર્શન કરવા આવનારા કોઈને મોઢેથી મહર્ષિની વાત સાંભળતાંવેંત જ એ અતિશય ઉત્તેજિત અને બેચેન બનીને બોલી ઊઠતો કે ‘શું કહ્યું ? બ્રાહ્મણ સ્વામીના દર્શને જવું છે ? એનામાં દર્શન કરવા જેવું છે જ શું ? એ તો તદ્દન સાધારણ, માર્ગ ભૂલેલો, કોઈ પણ પ્રકારની યોગ્યતા વગરનો, ભ્રમિતચિત્ત સાધુ છે. એનામાં સદુપદેશ કે શાંતિ આપવાની શક્તિ જ ક્યાં છે ? એનામાં મારી પેઠે લોકલોકાંતરોમાં પહોંચવાની ને દેવીદેવતાઓ સાથે વાતો કરવાની ને બીજી સિદ્ધિ ક્યાં છે ? એ તો તદ્દન ક્ષુલ્લક છે.’
એ પછી એકવાર એ ધ્યાનમાં બેઠેલો ત્યારે મહર્ષિની મૂર્તિ દેખાઈ ને ‘સાવધ રહેજે. ભ્રમણામાં ના પડતો.’ કહીને અદૃશ્ય થઈ ગઈ. એ અનુભવથી એને થયું કે મહર્ષિમાં શક્તિ છે ખરી, માટે એમની સાથેનો વ્યવહાર બદલવો જોઈએ. એણે મહર્ષિને બધી હકીકત કહી સંભળાવી તો એમણે કહ્યું કે મને તો કોઈ વિભૂતિ કે સિદ્ધિની ખબર નથી, અને તમારે માટે મારા મનમાં કોઈ બૂરો વિચાર કે ભાવ નથી ઊઠતો.
* * * * * * * * * * * *
ઈ.સ.૧૯૧૬ દરમિયાન કેટલાક સાધુઓએ મહર્ષિને પર્વત પરથી હઠાવવાનો ઘાટ ઘડ્યો. એમની એક ટોળી મદિરાપાનથી મત્ત બનીને વિરૂપાક્ષી ગુફા પાસે પહોંચીને કહેવા લાગી : ‘અમે પોદિગૈ પર્વત પરથી આવ્યા છીએ. ત્યાં અગત્સ્ય મુનિ તપ કરે છે. એમણે તમને શ્રીરંગના સિદ્ધોની સભામાં ને પછી એમને ત્યાં પહોંચાડવાની આજ્ઞા કરી છે, ને કહ્યું છે કે તમારા શરીરમાં રહેલાં અશુભ તત્વો તમારી ઉન્નતિમાં બાધા પહોંચાડે છે. એ તત્વોને નષ્ટ કરીને એ તમને દીક્ષા આપશે.’
મહર્ષિ તથા શિષ્યોને સમજાયું નહિ કે શું કરવું. પરંતુ ત્યાં બેઠેલા પેરુમલ સ્વામી કશાક કાવતરાની ગંધ આવવાથી ઉશ્કેરાઈને બોલી ઊઠ્યા કે ‘ભગવાને અમને પણ તમારા આવવાની સૂચના આપી દીધી છે ને કહ્યું છે કે તમે બધા આવો એટલે તમને બાળી નાખવા. અરે મસ્તાન ! આ બધા આવી ગયા છે તો ખાડો ખૂબ મોટો ખોદજે, સમજ્યો ?’
એમની વાત સાંભળીને શરાબી સાધુઓ ભયભીત બનીને વિદાય થઈ ગયા. શિષ્યો હસી પડ્યા.
* * * * * * * * * * * *
એ સઘળા પ્રસંગો દરમિયાન મહર્ષિ સંપૂર્ણ સ્વસ્થ રહ્યા. બૂરું ચાહનારા તથા કરનાર પ્રત્યે પણ એમને ક્રોધ કે વેરભાવ ના થયો. એ પ્રસંગોએ એમની નિર્વૈરતા તેમજ સ્થિતપ્રજ્ઞતાની કસોટી કરી અને એમાંથી એ સફળતાપૂર્વક પાર ઊતર્યા. વિરોધી, વેરભાવવાળા સાધુઓનું એમની સર્વોત્કૃષ્ટ સાત્વિકતા આગળ કશું જ ના ચાલી શક્યું.