Samadhi Pada : Verse 31 - 35
३१. दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः ।
એની સાથે થનારાં બીજાં પાંચ વિઘ્નો આ પ્રમાણે છેઃ- દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજયત્વ, શ્વાસ ને પ્રશ્વાસ
૧) આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક દુઃખ.
૨) ઇચ્છા પૂરી ના થવાથી મનમાં થનારા ક્ષોભને દૌર્મનસ્ય કહે છે.
3) અંગમાં કંપ થાય તેને અંગમેજયત્વ કહે છે.
૪) બાહ્યકુંભકમાં મુશ્કેલી થાય તેને શ્વાસ કહે છે.
૫) અંદરના કુંભકમાં મુશ્કેલી થાય, શ્વાસ બહાર કાઢવામાં વ્યવસ્થિત ના રહેવાય, તે પ્રશ્વાસનું વિઘ્ન કહેવાય છે.
*
३२. तत्प्रतिषेधार्थम् एकतत्त्वाभ्यासः ।
એ વિઘ્નોને દૂર કરવા માટે એક તત્વનો અભ્યાસ કરવો જોઇએ. એટલે કે કોઇ એક વસ્તુમાં ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જોઇએ. તેથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે, ને વિઘ્નો ટળી જાય છે.
*
३३. मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ।
સુખી મનુષ્યોમાં મિત્રતાની ભાવના કરવી. દુઃખી મનુષ્યોને જોઇને દયાની ભાવના કરવી. પુણ્યાત્મા પુરુષોને જોઇને પ્રસન્નતાની ભાવના કરવી. ને પાપી તરફ ઉપેક્ષા કે ઉદાસીનતાની ભાવના કેળવવી. તેમ કરવાથી જુદીજુદી જાતની અશુદ્ધિનો નાશ થાય છે, ને ચિત્ત નિર્મલ, શાંતિમય ને પ્રસન્ન થઇ જાય છે.
*
३४. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ।
અથવા તો પ્રાણવાયુને બહાર કાઢવાના ને રોકવાના અભ્યાસથી પણ શરીરની નાડીઓનો મળ દૂર થાય છે, ને ચિત્ત નિર્મળ બને છે.
*
३५. विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धिनी ।
વિષયવાળી પ્રવૃત્તિ ઉત્પન્ન થવાથી તે પણ મનને બાંધનારી અથવા સ્થિર કરનારી થઇ પડે છે.
સાધનામાં આગળ વધતા સાધકને દિવ્ય વસ્તુ કે વિષયોનું દર્શન થાય છે. એ દિવ્ય વિષયોનો અનુભવ કરનારી વૃત્તિ વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે. એવી પ્રવૃત્તિથી સાધકનો વિશ્વાસ વધી જાય છે. માનસિક સ્થિતિમાં તે મદદરૂપ થઇ પડે છે.
| < Prev | Next > |
|---|
