Samadhi Pada : Verse 41 - 45
४१. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनतासमापत्तिः ।
સઘળી બાહ્ય વૃત્તિઓ ક્ષીણ પામી હોય તેવું સ્ફટિકમણિ જેવું નિર્મળ ચિત્ત ગ્રહીતા (એટલે પુરુષ), ગ્રહણ (અંતઃકરણ ને ઇન્દ્રિયો) ને ગ્રાહ્ય (એટલે પંચમહાભૂત ને વિષયો) માં સ્થિત થઇને તદાકાર બની જાય, તે સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.
અભ્યાસ દ્વારા સાધકનું મન સ્ફટિકમણિ જેવું છેક નિર્મલ થઇ જાય, તે ધ્યેય પદાર્થમાં જ વહેવા માંડે ને તે સિવાયની તેની બીજી બધી વૃત્તિ શાંત પડી જાય તેવી દશામાં ઇન્દ્રિયોના સ્થૂલ કે સૂક્ષ્મ વિષય, અંતઃકરણ ને ઇન્દ્રિયો અથવા બુદ્ધિસ્થ પુરુષ, જેમાં પણ સાધક પોતાના મનને લગાડે તેમાં તન્મય થઇને તે વહેવા માંડે છે. તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એ સમાધિમાં સાધકને ધ્યેય વસ્તુના સ્વરૂપનું બરાબર જ્ઞાન થઇ જાય છે.
*
४२. तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः ।
એમાં શબ્દ, અર્થ ને જ્ઞાન - એ ત્રણના વિકલ્પોથી મિશ્રિત સમાધિ સવિતર્ક કહેવાય છે.
જ્યારે કોઇપણ એક સ્થૂલ પદાર્થને લક્ષ્ય બનાવીને તેના સ્વરૂપને જાણવા માટે સાધક પોતાના મનને તેમાં લગાડી દે છે, ત્યારે શરૂઆતમાં તેને જે અનુભવ થાય છે તેમાં તે વસ્તુનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પોનું મિશ્રણ હોય છે. તેના સ્વરૂપની સાથે સાથે તેના નામ ને અનુભૂતિનું જ્ઞાન પણ ચિત્તને થતું હોય છે તેથી તે સવિતર્ક સમાધિ છે.
*
४३. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का ।
તે પછી, સાધકના ચિત્તમાંથી ધ્યેય વસ્તુના નામની સ્મૃતિ ચાલી જાય, તેને અનુભવનારી ચિત્તવૃત્તિનું સ્મરણ પણ ના રહે, ત્યારે પોતાના સ્વરૂપનું પણ ભાન ના રહેવાને લીધે સ્વરૂપના અભાવ જેવી દશાની પ્રાપ્તિ થાય છે. બધી જાતના વિકલ્પોનો અભાવ થઇ જવાને લીધે કેવલ ધ્યેય પદાર્થની સાથે તન્મય થયેલું ચિત્ત ધ્યેયનો આભાસ માત્ર કરે છે. તેનું નામ નિર્વિતર્ક સમાધિ છે. એમાં શબ્દ કે અનુભૂતિનો કોઇ વિક્લ્પ રહેતો નથી. માટે તે નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય છે.
*
४४. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ।
આટલા સવિતર્ક ને નિવિતર્ક સમાધિના વર્ણનથી સૂક્ષ્મ પદાર્થોમાં કરાતી સવિચાર ને નિર્વિચાર સમાધિનું વર્ણન પણ થઇ ગયું સમજવું.
સ્થૂલ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિના જેમ બે ભેદ છે તેમ સૂક્ષ્મ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિ પણ બે જાતની છે. કોઇ સૂક્ષ્મ ધ્યેય પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે જ્યારે ચિત્તને તેમાં સ્થિર કરવામાં આવે છે, ત્યારે પહેલાં તેનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પવાળો અનુભવ થાય છે. તે સવિચાર સમાધિ કહેવાય છે. ને તે પછી જ્યારે નામ કે જ્ઞાનનું અથવા ચિત્તના સ્વરૂપનું પણ સ્મરણ નથી રહેતું, ને કેવલ ધ્યેય પદાર્થોનો જ અનુભવ બાકી રહે છે, ત્યારે તેને નિર્વિચાર સમાધિ કહેવામાં આવે છે.
*
४५. सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् ।
સૂક્ષ્મ વિષયની સીમા પ્રકૃતિ સુધી છે.
પૃથ્વીનો સૂક્ષ્મ વિષય ગંધતન્માત્રા, પાણીનો રસતમાન્ત્રા, તેજનો રૂપતન્માત્રા, વાયુનો સ્પર્શતન્માત્રા ને આકાશનો શબ્દતન્માત્રા છે. ને તે સૌનો ને મન સાથે ઇન્દ્રિયોનો સૂક્ષ્મ વિષય અહંકાર, અહંકારનો મહાતત્વ ને મહાતત્વનો સૂક્ષ્મ વિષય અથવા કારણ પ્રકૃતિ છે. એની આગળ કોઇ સૂક્ષ્મ પદાર્થ નથી. તે જ સૂક્ષ્મતાની સીમા છે. તેથી પ્રકૃતિ સુધીના કોઇયે સૂક્ષ્મ પદાર્થોને લક્ષ્ય બનાવીને તેમાં કરેલી સમાધિ સવિચાર તથા નિર્વિચાર સમાધિમાં ગણી શકાય.
| < Prev | Next > |
|---|
