ગમે તેટલા કર્યા હો અપરાધ મેં,
ઉદાર તમારું દિલ ક્ષમાવાળું છે;
પ્રેમથી જ પુલકિત તમારો તો પ્રાણ,
આશા મને છે કે કરશો સદા કલ્યાણ.
ચંચળ છે ચિત્ત ઘણું, વિહરે રમે,
ચરણ છોડી તમારાં અન્યત્ર ભમે;
કૃપાળુ તમે છો તેને કરી દેશો ઠીક,
એવી શ્રદ્ધાથકી મારી નાસે બધી બીક.
ગમે તેટલી કમી છો મારામાં રહી,
ગુણ તેમ ભાવતણો છાંટો ના કહી;
તમારો થયો છું તેથી કરી દેશો પાર,
મારી માની લેશો તમે તમારી જ હાર.
અંતરમાં અનુરાગ યુગોથી ભર્યો,
પ્રાણ મારો તમારા જ રૂપમાં ઠર્યો;
સુંદર ધરીને મળો મુજને સ્વરૂપ,
તે ઘડીએ બની જઉં ભૂપનોયે ભૂપ.
ગમે તેટલી બુરાઈ મારામાં ભરી,
'પાગલ’ થૈ અંજલિ મેં તમને ધરી;
પતિતપાવન ધર્યું તમે જે દિ’ નામ,
તે દિવસે મળી ગયું મુજને તો ઠામ.
- શ્રી યોગેશ્વરજી