દેવદેવી સિદ્ધ મુનિ ને તપસ્વી સ્નેહી ઘણા,
તેમ સ્વજન અનેક એવા,વડીલોની ના મણા;
સર્વ રીતે સુખદ દેતા શાંતિ કિન્તુ હેતથી,
તમારા વિણ આ જગતમાં ખરેખર કોઈ નથી.
દેશ તેમ વિદેશ જોયા, નદી ના નાળાં ઘણાં,
તેમ સાગર, ગામ ને પુર, પર્વતો એકાંતના;
તમારા જેવું, બરાબર, વાત છે સાચી કથી,
તમારા વિણ આ જગતમાં ખરેખર કોઈ નથી.
એટલે અંતરતણા અંતરથકી તમને સ્તવું,
રોમરોમે રાગ ભરતાં તમોને કેવળ કવું;
પ્રાણ પૂજે ને ભજે તમને બની રે’તા હઠી,
તમારા વિણ આ જગતમાં ખરેખર કોઈ નથી.
દુઃખ ચિંતા વેદના અંધારને ટાળો તમે,
સફળ આકાંક્ષા કરો, તમને જ પ્રાર્થીએ અમે;
તમોને ત્યાગી ઘડી ના ક્યાંય હો વૃત્તિ જતી,
તમારા વિણ આ જગતમાં ખરેખર કોઈ નથી.
- શ્રી યોગેશ્વરજી