સવારે મેં તમને મારાં ગીતો અર્પણ કર્યાં ને રાતે એક અલૌકિક બનાવ બની ગયો.
મધરાત પછી ચાંદનીના પ્રકાશમાં પ્રકટ થઈને
તમે મારા કંઠમાં માળા અર્પણ કરીને મને કહેવા માંડ્યાં :
મારા પ્રભુ ! તમારાં ગીતો મને ખૂબખૂબ ગમી ગયાં છે ને પ્રાણપ્યારાં લાગ્યાં છે.
તેમને વાંચીને મારું રોમેરોમ નાચી ઉઠ્યું છે.
તેમની કદર હું કેવી રીતે કરું, અથવા તો તેમના બદલામાં હું શું અર્પણ કરું ?
જન્મ જન્માંતર લગી તમારી દાસી બનું તો પણ ....
એમ કહેતાં વેંત તમારી આંખમાંથી બોર જેવાં આંસુ ટપકી પડ્યાં,
ને તમે શ્વાસ ખાઈને કહ્યું : મારા દેવ,
આંસુના રૂપમાં મારા પ્રાણને તમારે ચરણે સમર્પિત કરું છું;
કાયમને માટે તમારી થઈ રહેવાની પ્રતિજ્ઞા કરું છું.
હીરા, માણેક ને મોતી સાથે તમારાં ગીતોની સરખામણી ના થઈ શકે.
આ તો આત્માનું ધન છે-આત્માનું સર્વસમર્પણ છે.
તેમના બદલામાં મેં ક્યારનુંયે સર્વસમર્પણ કરી દીધું છે. આજે તેને જાહેર કરું છું.
ને તમે મારે કંઠે વળગી પડ્યાં ત્યારે બધાં જ સુતાં હતાં;
કેવળ આકાશના તારા ને ચંદ્ર જાગતા હતા.
- શ્રી યોગેશ્વરજી