આપણા અંતરના તાર કેવા એકસરખા સુરીલા ને સંવાદી સૂર કાઢે છે !
મને જે વિચાર આવે છે, ને મારા મનમાં જે ભાવ જાગે છે તે જ તમારા મનમાં જાગે છે.
એમ કહો કે અંગ બે છે ને આત્મા એક :
વીણા બે છે ને વાદી એક.
પ્યાલા ભલે બે પણ તેની અંદરનું અમૃત એક છે.
સાધનાની આ કેવી અનેરી સિદ્ધિ છે એ તમને કેમ કરીને કહી બતાવું !
જીવનનો કેટલો અનેરો આનંદ આમાં સમાયેલો છે એ તમને કેમ કરીને કહી બતાવું !
કેમ કરીને કહી બતાવું કે મારા જીવનનું કેટલું બધું સૌભાગ્ય ને કેવું સુખ આમાં સમાયેલું છે !
તમારી અપરંપાર કૃપાનું આનાથી વધારે ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે ?
આપણી એકતાનો અંતિમ આદર્શ આના વિના બીજો કયો હોઈ શકે ?
- શ્રી યોગેશ્વરજી