મારે માટે એટલી વાત ચોક્કસ છે
કે જ્યાં સુધી તમારા મધુમય મુખને નિત્ય-નિરંતર નિહાળવાનો લાભ મને નહિ મળે
ત્યાં સુધી મને શાંતિ નહિ થઈ શકે.
જીવનની યાત્રામાં ત્યાં સુધી મને આરામ નહિ મળી શકે
જ્યાં સુધી તમારું સુધાના સાગર જેવું સ્વરૂપ સદાને માટે -
એકે ક્ષણના વિક્ષેપ વિના મારી આંખ આગળ ઉભું નહિ રહે
ને મને તમારો શાંતિમય સહવાસ નહિ મળે.
જ્ઞાન ને યોગના સાધનથી નક્કી છે કે મારી તરસ નહિ ટળે ને ભૂખ નહિ શમે.
સંસારમાં હું ગમે ત્યાં જઈશ, પાંચ ખંડની પૃથ્વીમાં ગમે ત્યાં ફરીશ,
તો પણ મારા દિલનું દર્દ નહિ ટળે, ને મારું જીવન ઉત્સવ પણ નહિ કરે.
જ્યાં સુધી તમારી અમીમય આંખમાં આંખ મિલાવી આઠે પહોર
તમારી પાસે બેસી રહેવાનું સૌભાગ્ય મને નહિ મળે.
માટે જ કહું છું કે મારો મનોરથ તમે વહેલામાં વહેલી તકે પૂરો કરો ને મને શાંતિ દો.
તમે ધારો તો આ કામ જરાય મુશ્કેલ નથી.
- શ્રી યોગેશ્વરજી