તમે મારી આંખમાં આંખ નહિ મિલાવો ને સ્મિત સાથે મારો સત્કાર નહિ કરો
તો પણ હું તમારું દર્શન કરવા કાયમને માટે તલપાપડ રહીશ,
ને તમારા સુધામય સ્વરૂપની ઝાંખી કરીને, દૂરથી પણ કરીને, ખુશ થઈશ.
તમે મને તમારા આલિંગનનો આનંદ નહિ આપો,
ને મારે માટે તમારી વ્હાલભરી વાણી નહિ વહેવડાવો
તો પણ, હું મારા ગીતની પૂજા ચાલુ જ રાખીશ,
ને આજ સુધી તમે આપેલા આલિંગનના આસ્વાદને અનુભવ્યા કરીશ.
કેમ કે તમારા વિના મને ચાલે તેમ નથી.
મારું હૃદય હવે તમારું જ થઈ ગયું છે
ને તમે મારાં થાવ કે ના થાવ તો પણ તેની નિષ્ઠામાં કાંઈ ફેર પડનાર નથી.
તે તો તમને ઝંખ્યા જ કરશે. ને તમે પણ ક્યાં સુધી નહી આવો ?
ક્યાં સુધી તમારા પ્રેમામૃતથી મારા તનમનને નહિ પખાળો ?
આખરે તમને પણ હૃદય છે.
એટલે મારા હૃદયના પડછંદા તેની પાસે જરૂર પહોંચી જશે ને મને મળવા -
પોતાની અંદર સમાવી લેવા, તે આતુર આતુર બની જશે.
આ જ શ્રદ્ધા ને આશાથી આજે તો મુસીબતોની વચ્ચે પણ માર્ગ કાઢતાં જીવી રહ્યો છું -
કહો કે જીવનને ટકાવી રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી