અંતરના અનુરાગની અંજલિ જેવાં આ ગીત તમને પ્યારાં લાગે કે ના લાગે,
તમને પ્રસન્ન કરે કે ના કરે,
ને તમારે મન તેમની કીમત હોય કે ના હોય,
મારે મન તો ખૂબ જ મધુરાં ને મહામુલ્યવાન છે.
મારે મન તો જીવન જેવાં છે,
અંતરને આરામ આપનારાં ને પ્રાણને પ્રફુલ્લિત કરનારાં છે.
મારા રોમેરોમ તેમજ રક્તના રણકાર
ને હૃદયના ધડકારમાંથી પ્રકટ થયેલાં આ ગીત વિશે તમે જે માનતાં હો તે ભલે માનો,
મારે માટે તો તે અત્યંત આશીર્વાદરૂપ ને સાધનાની સામગ્રીરૂપ છે.
મારા હૃદયમાં અંકિત થયેલા એ ગીતના ગૌરવને હું સદાયે જીવતું રાખીશ,
ને અવનીને એથી અલંકૃત કરીશ.
આ ગીતો તમારે ને મારે માટે જ છે એ બરાબર છે.
પણ પૃથ્વીના હિતને માટે તે પ્રકટ થાય તે જરૂરી છે.
તમે તેમને ગુપ્ત રાખવાનું કહેશો તો તે નહિ ચાલે.
પ્રેમનાં પવિત્ર પરમાણુ જ્યારે આ પૃથ્વીમાં દિનપ્રતિદિન ઓછાં થતાં જાય છે,
ત્યારે આપણા પ્રેમના આ પડછંદાનો પ્રસાર થાય તે જરૂરી છે.
એ રીતે તમારી ને તમારા સંસારની સેવા કર્યાનો મને સાચો સંતોષ મળી શકશે.
- શ્રી યોગેશ્વરજી