કૃપાની અસીમ વૃષ્ટિ વરસાવીને
તમે આપણી આડે આવી રહેલા આવરણનો ભંગ કર્યો
ને મને તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનો અવસર આપ્યો
એથી મારું હૃદય ખરેખર ભાવવિભોર ને ગદગદ બની ગયું છે.
આવરણના ભંગનો એ આનંદ મારી નસેનસમાં નાચ્યા કરે છે.
આ આવરણને લીધે જ જીવ તમારાથી દૂર છે.
હૃદય શુદ્ધ થઈ જાય, નિર્મળ બની જાય,
ને તમારા પવિત્ર પ્રેમથી પુલકિત ને પાવન થાય,
એટલે આવરણનો ભંગ થાય છે.
તમારી કૃપાથી એ કામ સહેલું બને છે, ને જન્મોજન્મની દરિદ્રતા ટળી જાય છે.
આવરણભંગનો આનંદ આપવા બદલ હું તમારો અત્યંત આભાર માનું છું.
- શ્રી યોગેશ્વરજી