તમારા રૂપનું પાન કરતાં હું ધરાતો નથી,
ને તમારા પ્રેમનો આસ્વાદ લેતાં મને દિવસે કે રાતે,
અરે એક ક્ષણનો પણ આરામ નથી.
અંતરને તમારો એવો ઉત્કટ અનુરાગ થઈ ગયો છે.
તમારા ગુણના ગૌરવને ગાતાં ગાતાં મને તૃપ્તિ વળતી નથી,
ને ગૌરવની ગાથા પણ ખૂટતી નથી.
અંતરને તમારો એવો ઉત્કટ અનુરાગ થઈ ગયો છે.
તમારી સુંદરતા ને મધુરતાનું પાન કરતાં મને થાક લાગતો નથી,
ને કદી તૃપ્તિ વળતી નથી.
એનો ભંડાર એવો અનહદ છે, અપરંપાર છે.
તમે પોતે નિત્યનૂતન છો, તેમ તમારું સર્વકાંઈ નૂતન જ છે.
- શ્રી યોગેશ્વરજી