મારી બિમારીની તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આજે તમે મને સ્વપ્નમાં આવીને મારી ભાવિ બિમારીની શક્યતા વિશે સંકેત કર્યો.
તેના ઉત્તરમાં મારે કહેવાનું કે મારી બિમારીની તમારે ચિંતા કરવાની જરૂર નથી.
મારી બિમારી તો આજે વરસોથી ચાલ્યા જ કરે છે.
કોણ જાણે તે ક્યારની શરૂ થઈ ગઈ છે,
પણ તેનું સ્વરૂપ આજે તો અત્યંત પ્રબળ બની ગયું છે.
તમે તેને દૂર કરવા માંગતા હો
તો હવે વિના વિલંબે મારી ચિરકાલીન પ્યાસને તૃપ્ત કરવાનો પ્રયાસ કરો,
ને એવું કરો કે મને મૂકીને એક ક્ષણ પણ ક્યાંય ના જાઓ.
એ વિના મારા દિલનું દર્દ ને મારી બિમારી દૂર થઈ શકે તેમ નથી.
માટે મારા આરોગ્યની તમને ચિંતા હોય
તો તમારા પ્રેમની દવા લઈને આજથી જ મારી પાસે પ્રકટ થઈ જાવ.
- શ્રી યોગેશ્વરજી