કેટલાક જીવો એવા હોય છે જેમને વેદના વહાલી છે.
વહાલની વેદનામાં ન્હાવું જેમને મન સુધાસ્નાન બરાબર થઈ પડે છે.
એમની આંખ આગળ એમની આરાધ્યદેવી ઊભી રહે એટલે થયું.
તે પ્રેમ પીએ છે, આનંદે છે, ને અખૂટ આનંદમાં સ્નાન કરે છે.
મારું નામ એ પ્રેમી ભક્તોની નામાવલિમાં લખાઈ ચુક્યું છે.
તમારે માટેની વેદનાથી મારું હૃદય વીંધાઈ રહ્યું છે.
છતાં તેમાં સ્વર્ગસુખ સમજીને તમારી પ્રતીક્ષા કરતાં હું બેસી રહ્યો છું.
પણ વેદના મને વેદનાને ખાતર પ્રિય નથી.
આજની વેદના હું એ આશાએ વેઠી રહ્યો છું
કે આવતી કાલે તેમાંથી તમારા મિલનનો મધુર રસ પ્રકટી ઉઠશે,
ને મારા જીવનની વેરાન વાડીને હરીભરી ને રસકસવંતી કરી દેશે.
- શ્રી યોગેશ્વરજી