સંગીતના સમારોહમાં મને પણ આજે આમંત્રણ હતું. વાજીંત્રો વિવિધ હતાં છતાં છેક સંવાદી થઈને વાગ્યા કરતાં, તે વાતાવરણને સ્વર્ગીય બનાવતાં.
સંગીતના સ્વર્ગીય શ્રવણથી મારો પ્રાણ પ્રસન્નતાનો અનુભવ કરવા માંડ્યો; મારા અંતરમાં આધારનો આવિર્ભાવ થયો.
મન અને અંતરને એક કરી તથા સંવાદે ભરી, મનુકુળના હે પ્રતિનિધિ, આવો, આપણે એક થઈએ, સૃષ્ટિને સુંદર કરીએ.
ભક્ષણ નહિ પણ રક્ષણ ને વેર નહિ પણ પ્રેમ; શોષણ નહિ પણ પોષણ ને બંધન નહિ પણ મુક્તિ; એજ સનાતન છે. એજ આખરે વિજયી થશે.
સંગીતને સાંભળીને મારો વિશ્વાસ વધી ગયો.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિ બિંદુ)