ગંગાના પવિત્ર તટ પર સમીસાંજે સંધ્યાની સુરખિ સાથે સ્પર્ધા કરતી બે ચિતા બળતી હતી. એક ગામની સાધારણ સ્ત્રીની ને બીજી ગામથી દૂર રહેનારી રાજમાતાની.
રાજમાતાની ચિતા ભારે ભભકાદાર હતી. એની આજુબાજુ પડદા કરેલા. એમાં અનેકાનેક સુવાસિત પદાર્થો પણ ભરેલા.
રાજમાતાની ચિતા ચંદનની હતી. પડદાની ઉપર પહોંચીને એણે પશ્ચિમની પેલી બળબળતી ચિતાને તિરસ્કારની નજરે જોઈને કહેવા માંડ્યું, અભાગિની, તારી તે કાંઈ કિંમત છે ? મારી તરફ જોઈને જરા વિચાર તો કર. હું કેટલી બધી સુંદર ને સુવાસિત દેખાઉં છું ! સમ્રાટના સૈનિકો મને સલામી ભરે છે, ને રાજપુરુષો ને મોટા માણસો મને નમન કરીને માન આપે છે. મારું સૌભાગ્ય તો જો. મારી આગળ તું કેવી કંગાળ લાગે છે !
બાવળની ચિતાએ કહ્યું : બેન, સલામી તને નહિ પણ રાજમાતાને અપાય છે તેની તને ખબર નથી. બાકી સાચી વાત, તો એ છે કે આપણે એક જ છીએ. એક જ કામ કરીએ છીએ. તું ગુમાની છે છતાં કોઈને કાંઈ જીવન નથી આપી શકતી. રાખમાં પરિપૂર્ણપણે પલટાઈ જઈએ તે પહેલાં આવ, આપણે એક થઈએ, સંસારની સેવા કરીએ.
ચંદનની ચિતાનું ગુમાન ગળી ગયું. કહે છે કે એને આલિંગન આપવા એણે ધૂળનું રૂપ ધારણ કર્યું.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)