તમારા સ્વર્ગીય સિંહાસન પરથી નીચે ઊતરીને સંસારને સુખી ને સમૃદ્ધ કરવા માટે મહેનત કરનારા આ દેશવાસીની સાથે, સંસારના સઘળા સેવકોની સાથે, સેવાના સમરાંગણમાં આવો, એમને આશિષ આપો, એમના પરિશ્રમનો પ્રસ્વેદ દૂર કરો, ઓ મારા પ્રેમમય ! એમને સફળ કરો !
ક્યાંક આંસુની ઉજાણી થાય છે, ને ક્યાંક પીડાનો પારાવાર પ્રકટે છે. ક્યાંક મૂંઝવણનું મંથન ચાલે છે, ને ક્યાંક અનીતિ, અન્યાય તથા તાપનું તાંડવ થાય છે. એ સૌની વચ્ચે સ્મિત કરતાં, દર્દીને દિલાસો દેવા ને લહાવો લેવા પ્રકટ થાવ, ઓ મારા આનંદમય ! પ્રકટ થાવ !
મનુકુલના મહામંથનને સફળ કરો; જરી જેટલા ઝેરથી જડ બનેલા જગતને જીવનનું દાન દો ! અવની આખી એક થાય, સ્નેહ, સહકાર, શાંતિ ને સમૃદ્ધિનું ગીત ગાય, એવો આશીર્વાદ દો !
તમારા સ્વર્ગીય સિંહાસન પરથી નીચે ઊતરીને સંસારને સુખી ને સમૃદ્ધ કરવા માટે મહેનત કરનારા માનવોની સાથે શ્વાસ લો, એમને સફળતા દો !
(૨૨-૧-૧૯૬૦, ગુરુવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)