આખરે આપણો અનુરાગ જાહેર થઈ ગયો છે. હું તમને ચાહું છું, તમે પણ મને ચાહો છો; ચાહનાની એ કથા છતી થઈ ગઈ છે. આખરે આપણો પ્રેમ જાહેર થઈ ગયો છે.
મારાથી બને ત્યાં સુધી તો આપણા વહાલની વાતને મેં છાની રાખી. પણ તમે જ તેને પ્રકટ કરી દીધી. મારા કોમળ, ક્લેશરહિત કાળજામાં તમારી કામણગારી કુસુમકળી પેદા કરીને આખરે તમે જ તેને સૌરભથી ભરી દીધી; એની પ્રત્યેક પાખંડી ખોલી દીધી. આપણા અનુરાગની અમર આખ્યાયિકાને આખરે તમે પ્રકટ કરી દીધી.
મને તેનો વસવસો નથી. સંસારને સારુ એ શુભ જ થશે. તમારે માટેનો પ્રેમ ઘટતો જાય છે એવા યુગમાં મારા અનુરાગ અને અનંત અનુરાગની અભિવ્યક્તિ બીજાને માટે પ્રકાશ, પ્રેરણા, પથપ્રદર્શનનું કારણ બનશે; નવજીવનની કેડી થઈ પડશે.
(૯-૨-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)