કેટકેટલા વખતથી હું તમને શોધતો હતો ! એમ કહો કે કદાચ તમે પણ મને શોધતાં હતાં. આખરે આપણે મળી ગયાં.
સૂર્યોદય સમયના તાજાં કિરણનો સ્પર્શ થતાં કમળના દલ જેમ પ્રસન્નતાપૂર્વક ખીલી ઊઠે છે, તેમ આપણું તન, મન, અંતર, અણુ અને પરમાણુ, પ્રેમનું પાવન ગીત ગાતાં ખીલી ઊઠ્યાં; આપણું સર્વકાંઈ કોઈક મંગલ મહોત્સવમાં સામેલ થયું. સાગર ને સરિતાના સુભગ સંગમની જેમ આપણું આલિંગન એકમેકને માટે અત્યંત આહ્લાદક થઈ પડ્યું.
તમારા વિનાનું જીવન ખરેખર નીરસ છે; તમારામાં જ તેનો રસ ને તમારે લીધે જ તેની કિંમત છે; એ વાતની મને એકવાર ફરીથી ખાતરી થઈ.
(૨૨-૨-૧૯૬૦, સોમવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)