પૂનમની પેલી રસીલી રાતે તમે મારી સામે સ્મિત કરતાં ઊભાં રહ્યાં ત્યારે, તમારા હાથને હાથમાં લઈને મેં કહેવા માંડ્યું, સુસ્મિતે ! તમે મને કેટકેટલું આપ્યું છે? શરીર, મન, હૃદય, રાગથી રંગાયેલું હૃદય, કવિનું કાળજું, સુખ શાંતિ, સમૃદ્ધિ, બધું જ આપ્યું છે, ને હજુ પણ આપતાં જ જાવ છો. પરંતુ હું તો તમને કાંઈ જ આપતો નથી.
“કોણે કહ્યું તમે મને કાંઈ જ નથી આપતા?” તમે તરત જ પોકારી ઊઠ્યાં: “તમે મને કેટલું બધું આપ્યું છે તેની તમને ખબર છે? સંસારમાં સૌ કોઈ મને વિસરવા માંડ્યા છે ત્યારે મને સાચા દિલથી સ્નેહ કરીને સેવીને, તમે કેટલું બધું આપ્યું છે તેની ખબર છે? એના બદલામાં તમને જે કાંઈપણ આપું એ ઓછું છે; અત્યંત અલ્પ છે.”
તમારા શબ્દોના પ્રતિઘોષ પાસેના શાંત પર્વતપ્રદેશમાં પડી રહ્યા.
(૧૬-૪-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)