શહેરના સરોવરતટ પરના એકાંત ઉપવનમાં બે ફૂલ પરસ્પર વાતો કરી રહ્યાં હતાં.
એક બોલ્યું, ભાઈ, માળી હમણાં આવશે ને આપણને ચૂંટી લેશે. પછી વેચવા પણ લઈ જશે. આજે તો કોઈક રાજપુરૂષની પાસે પહોંચું તો સારું એવી ઈચ્છા છે કે પછી દેવમંદિરમાં, સંતના શરણમાં, કોઈ કમનીય કન્યાની કબરીમાં કે નૃત્યાંગનાના કંઠમાં શોભું તોપણ સારું.
બીજું ફૂલ બોલી ઊઠ્યું, મારે તો બીજે ક્યાંય નથી જવું. છતાં જો જવાનું જ હોય તો બીજાના દુઃખે દુઃખી થતા ને બીજાનું દુઃખ દૂર કરવા માટે મહેનત કરતા કોઈ મહાપુરૂષની પાસે પહોંચું એટલી જ કામના છે; જેથી એના સુખદ સમાગમથી હું પણ સાર્થક થઈ રહું ને શાંતિનો શ્વાસ લઉં !
(૨૭-૪-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)