અંધારા ઘરમાં પ્રકાશ પાથરતો દીવો કેટલી બધી શાંતિ સાથે પ્રકાશે છે ! પોતાને ફાળે આવેલું કામ એ પ્રામાણિકપણે કર્યે જાય છે.
ઉપવનનાં પુષ્પો પણ, કોઈપણ જાતની જાહેરાત વિના, ઉપવનને સૌરભથી ભરી દે છે, ઉપવનની શોભાને વધારી, બીજાને પણ આનંદ આપે છે.
સૂર્ય ને ચંદ્ર તથા સાગર, સરિતા ને સ્ત્રોત પોતાને ફાળે આવેલાં કામ સ્વાભાવિક રીતે જ કર્યે જાય છે.
એવી સહજ રીતે જ તમને અનુરાગની અંજલિ આપવાનું કામ કર્યે જઉં, તેને માટે કોઈ પ્રકારની પ્રશંસા કે પ્રચારની ઈચ્છા ના રાખું, એટલું જ માગી લઉં છું.
મારે માટે નક્કી કરેલા કર્તવ્યના પાલનમાં જ મારી કૃતાર્થતા હોય: કર્તવ્યના પાલનમાં જ મારી સાધના કે સેવા જે કહો તે સર્વેનો સમાવેશ થઈ જાય.
(૨૭-૫-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)