તમે મીંચી લીધાં નયન કરુણાથી સભર બે,
અમે ભૂલ્યાં એનો પ્રણય નવ ના ભાવ હજુયે;
કર્યા લોકાચારો સકળ, સમયે શ્રાદ્ધવિધિને
કરી શ્રદ્ધા સાથે વિવિધ તપ ને દાન કરિયાં.
ગયાં તીર્થોમાં ને વિધિ સફળતાપૂર્વક કરી
નહાયેલાં સર્વે સરિતજલમાં તોપણ અમે
વહાવ્યાં અસ્થિને મધુર મુખને મંગલ સ્મરી,
ધરિત્રી સારીયે સુખદ સ્પરશે પાવન બની.
તમે શ્રદ્ધાભક્તિસહ પરમ આદર્શ હૃદયે
સદા રાખી જીવ્યાં વિષમસમ વાતાવરણમાં
રહી ચંદ્રિકાશાં વિમલ પર સૌથી ગગનમાં
વળી રેલ્યાં રશ્મિ રસમય સદા શાંતિ ધરતાં,
તમે જીવી જાણ્યું; સ્મરણ નિત આદર્શનું કરી
અમેયે જીવીએ પરમ શુચિ એ શ્રાદ્ધ જ ગણું.
- શ્રી યોગેશ્વરજી