તીર્થોમાં ફરી વળીને જ્યોતિ જોઇ જે
સરિતાસાગરે સ્ત્રોતે વૃક્ષવિટપે
સૂર્યચંદ્રતારકમાં ઈન્દ્રધનુષમાં
વરસાદી વાદળે કે વર્ષાધારામાં,
પુષ્પમાં વનસ્થલીમાં ઉદ્યાનમહીં
ચેતનાને અનુભવી ચમકી રહી;
રેણુમહીં રસ્તાની વસંતનાં ગ્રીષ્મે
પર્વતોનાં શૃંગો સાથે સંધાયેલી જે
માનવની પાંપણમાં રહી પ્રસરી
સૌંદર્ય કુરૂપતામાં મૂર્ત ને બની,
મંદિરમાં મુગ્ધ થઈ માનાર્હ વળી
જેના વિના પરમાણુ રિક્ત કો નહીં;
ચેતના તે મૂર્ત બની તમારા રૂપે
તમે સૌનાં આદિ છો ને જનની શુભે !
- શ્રી યોગેશ્વરજી