એકલો આવે મનુજ સંસારમાં,
અભિનયો કરતાં સમાપ્ત અનેકધા
એકલો અંતે વિદાય થઈ જતો
સ્વજન સ્નેહી સર્વને છોડી અહીં,
કોણ જાણે કયાં જતો વસતો વળી
માહિતી ગતિની ન કોઈને મળી.
એકલો આવે મનુજ સંસારમાં
એકલો જાયે કહેવાયે છતાં
યથાર્થ નથી દીસતાં વચનો મને
શરીર એનું એકલું આવે છતાં
કર્મસંસ્કારો વિચારો ભાવના
અંકુરો અંતઃકરણમાં આવતા
આપતાં સુખદુઃખ સદા વધતા જતા
વળી ઘટતા; ચાલતી ઘટમાળ આ
એમ સંસૃતિચક્રની શાશ્વત અહા.
સાથ એનો અંતકાળે એ કરે,
એકલો ના પ્રવાસી કોઈ મળે.
જેમના સંસ્કાર શામ્યા વાસના
થઈ શાંત સ્વરૂપમાં સ્થિત તે બને
તમારી પેઠે તરંગ વિલીન આ
થાય જેમ પ્રશાંત સાગરના ઉરે.
- શ્રી યોગેશ્વરજી