નામ જયાતિર્મયી ન્યારું તમારું રળિયામણું
રસાન્વિત સદા માટે ગૂઢ સંદર્ભથી ભર્યું
પ્રેરણાસ્પદ; પામીને તમે પ્રેમળ જ્યોતિને
પ્રભુની પ્રભુમાં જીવ્યા ધારણા પ્રભુની કરી,
જ્યોતિ જીવનમાં ન્યારી જગાવી અંધકારને
અવિદ્યાજન્ય આત્માના હણ્યા પામી પ્રકાશને;
અસંખ્ય માનવો કેરા અંધકાર વળી ટળ્યા
તમારાથી; તમે કેવી પાથરી સઘળે પ્રભા !
જ્યોતિર્મયી, તમે જ્યોતિ હતાં સંસારની મહા,
વિલીન દિવ્ય છો આજે પરા જ્યોતિમહીં થયાં
શક્તિશાળી વધારે ને વધારે તે છતાં બન્યાં;
જ્યોતિને પ્રકટાવી દો જ્યાં હો ત્યાંથી પુનઃ પરા
જેના પ્રભાવથી જૂના મટે અંધાર આત્મના
તપ્ત સંત્રસ્ત પ્રાણીને સાંપડે શીઘ્ર સાંત્વના.
- શ્રી યોગેશ્વરજી