નાનું શું ગામડું.
સાબરમતી કિનારાના દિવ્ય ગુર્જરદેશના
નાનાશા ગામની નાની ઝૂંપડીને તમે ધર્યું
તમારા જન્મનું ભાગ્ય.
ભણી નાની નિશાળમાં
બાહ્ય જીવનના દ્વારે જાણે કે પગલું ભર્યું.
લગ્નજીવન ગાળીને થોડાં વર્ષો સુધી તમે
વૈધવ્યમાં પ્રવેશીને પુરમાં વસવા ગયાં.
અંતે હિમાલયે તીખાં તપવા તપને રહ્યાં,
દેશ તેમ વિદેશોમાં પ્રવાસી બનતાં ગયાં,
લીલા સંકેલતાં અંતે સ્વરૂપે લીન ને બન્યાં.
કોઇએ તમને દેવી કહ્યાં શ્રેષ્ઠ તપસ્વિની,
પ્રેમમૂર્તિ ગણ્યાં સાધ્વી પૂર્ણ તેમ પવિત્રતા,
હતાં સર્વ તમે એવાં કિન્તુ નિર્દોષ ઉજ્જવળ
ગ્રામમાતાતણા રૂપે નિહાળ્યાં તમને સદા
દર્શકોએ, તમારામાં રાષ્ટ્રની ગ્રામસંસ્કૃતિ
સાકાર બનતાં જોઇ અમે સર્વત્ર મંગલ.
- શ્રી યોગેશ્વરજી