Thursday, February 09, 2012
   
Text Size

લક્ષ્મણની માગણી

રામ લક્ષ્મણ અને સીતા અરણ્યના એકાંત માર્ગ પર ધીરેથી પગલાં ભરતાં અને આજુબાજુના અવનવા આલ્હાદક દૃશ્યને જોતાં ચાલ્યાં જાય છે.

વિધિની વિચિત્રતા પણ કેવી છે ?

જેની સ્વપ્ને પણ કલ્પના નહોતી તે વસ્તુ સામે આવીને ઊભી રહી.

મંથરા અને કૈકેયી એમાં નિમિત્ત બની.

અયોધ્યાની રાજગાદી પર રામનો અભિષેક થવાનો હતો. તેને માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકેલી, તીર્થોના સુવાસિત દિવ્ય પાણી પણ આવી ગયેલાં. અયોધ્યામાં સર્વત્ર સજાવટ કરવામાં આવેલી. પ્રજા આનંદમાં આવી ગયેલી. રાજભવનમાં કૈકેયી સાથે સૌની પ્રસન્નતાનો પાર નહોતો. પરંતુ ત્યાં તો... એક રાતમાં જ બધીયે બાજી બદલાઈ ગઈ.

કૈકેયીએ રાજા દશરથ પાસે વરદાન માંગ્યું ને રામને રાજ્યાભિષેકને બદલે વનવાસ મળ્યો.

રામે માતા કૈકેયી તથા પિતા દશરથની ઈચ્છાને વધાવી લીધી ને વનવાસ માટે પ્રસ્થાન કર્યું. લક્ષ્મણ તથા સીતા પણ એમની સાથે ચાલ્યાં.

અયોધ્યાનાં નર-નારી વિધિની એ વિચિત્રતાનો વિચાર કરીને, રામ, લક્ષ્મણ, અને સીતા પ્રત્યેના પ્રખર પ્રેમથી પ્રરાઈને શોક તથા વિલાપ કરવા લાગ્યાં, પરંતુ રઘુકુલતિલક રામ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એવાં જ શાંત અને સ્વસ્થ રહ્યા. રાજ્યના સુખોપભોગનો એમને મોહ ન હતો, હર્ષ ન હતો, ને વનવાસનો શોક નહોતો.

રાજભવનના સુવાસિત પલંગ પર શયન કરનાર ને ઉઘાડી પૃથ્વી પર પગ ન મૂકનાર રામ, લક્ષ્મણ અને સીતા જમીન પર ઉઘાડા પગે ચાલવા લાગ્યા ને વૃક્ષોની નીચે તૃણ પર સુવા માંડ્યા. લક્ષ્મણ તો રામ તથા સીતાની સેવાનું વ્રત લીધું હોવાથી સુએ જ ક્યાંથી ? વનમાં આખીયે રાત જાગીને એ રામ-સીતાની રક્ષા કર્યા કરતા.

કેવું કઠોર જીવન હતું ? છતાં પણ એમને તો આમાં આનંદ જ લાગતો.

અરણ્યના અવનવા સુંદર દૃશ્યોને નિહાળતાં ત્રણે આગળ ને આગળ વધતાં જતાં.

સૌથી આગળ રામ ચાલતા, પાછળ સીતા, ને સૌથી પાછળ લક્ષ્મણ.

ઘાસથી છવાયેલી ઝાંખી દેખાતી નાની પગદંડી પર ત્રણે ધીમે પગલે ચાલ્યાં કરતાં.

વચ્ચે વચ્ચે રામ સીતાને માર્ગમાં મળતા સુંદર ઝરણ, હરણ, પ્રકૃતિના ખોળામાં ખીલેલા રંગબેરંગી પરિમલ ભરેલાં પુષ્પો ને વૃક્ષો બતાવતા.

સીતા તે રસપૂર્વક જોયા કરતી.

કેટલાક પદાર્થો સંબંધી તે કુતૂહલ બતાવતી ત્યારે રામ તેના કુતૂહલને જરૂરી સમજ પૂરી પાડીને શાંત કરતા.

એ બધા વખત દરમિયાન લક્ષ્મણ વારંવાર એક પ્રકારની ઊંડી અસ્વસ્થતાનો અનુભવ કરતો.

એની અસ્વસ્થતાનું કારણ જરાક જુદું હતું.

સીતા એની તથા રામની વચ્ચે ચાલતી હોવાથી રામના રસમય હૃદયાભિરામ, સુંદર સ્વરૂપને એ સારી પેઠે જોઈ શકતો નહિ. એને લીધે એ જરા બેચેન બનતો.

એકવાર તો પોતાની બેચેનીની વાત એણે સીતાને કહી બતાવી પણ ખરી ને વિનવણી કરી.

'રામનું સુધામય સુખકારક સ્વરૂપ નથી જોતો તો મને કાંઈનું કાંઈ થઈ જાય છે. એમના પ્રત્યેના પ્રખર પ્રેમ અને અસીમ આકર્ષણને લીધે મારું દિલ દુઃખી થાય છે. '

'તો પછી ? હું શું કરું ?' સીતાએ પૂછ્યું.

'તમે એક કામ કરી શકો છો. મારી લાગણીનો ખ્યાલ રાખીને તમે મારી ને રામની વચ્ચેથી વારંવાર હઠી જાવ અને એવી રીતે મને રામના દૈવી દર્શનનો અમૃતરસ પાવ તો સારૂં. રામનું દર્શન કરીને મારી આંખ આનંદ અનુભવે ને મારું અંતર કૃતાર્થ બને.'

લક્ષ્મણની લાગણી કે માગણી સમજતાં સીતાને જરા પણ વાર ના લાગી.

પછી તો સીતા અવારનવાર રસ્તાની બાજુએ ખસી જતી ને લક્ષ્મણ રામના સુંદરતાના સંપુટ જેવાં સ્વરૂપની ઝાંખી કરીને ધન્ય બનતો.

રામાયણનો એ પ્રસંગ ઉપરથી જોતાં ઘણો સાધારણ હોવા છતાં માર્મિક છે. જીવનના આ પુણ્યપ્રવાસમાં પણ એવું જ છે ને ! લક્ષ્મણને જીવ ને રામને શિવ માનીએ તો કહી શકાય કે જીવ પણ પોતાના આ પુણ્યપ્રવાસમાં શિવનો સાક્ષાત્કાર કરવા માંગે છે પરંતુ એ સાક્ષાત્કાર એને થાય કેવી રીતે ? જીવ તથા શિવની વચ્ચે આવરણ એક અવિદ્યાનું, વિષયોના આકર્ષણનું, કર્મસંસ્કારોના સમૂહનું કે લોકસમૂહમાં પ્રચલિત ભાષામાં કહીએ તો માયાનું છે. એ આવરણ હઠી જાય તો શિવની ઝાંખી જરૂર થઈ શકે ને સારી પેઠે થઈ શકે. પ્રકૃતિના એ આવરણને દૂર કરવા માટે જ જુદી જુદી તપશ્ચર્યા તથા સાધના છે. એના બળથી કે પરમાત્માના પરમ અનુગ્રહથી માયા પોતે જ જો સાધકના માર્ગમાંથી હઠી જાય તો સાધકની મહેચ્છા પૂરી થાય ને સાધના કૃતાર્થ બની જાય. એને માટે સાધકના દિલમાં લક્ષ્મણ જેવી ઉત્કટ લાગણી જોઈએ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in