કૈથલ કુરુક્ષેત્રથી લગભગ ર૬ માઈલ ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. કુરુક્ષેત્રથી નરવાના જતી લાઈનનું એ સ્ટેશન છે. એ કરનાલ જિલ્લામાં ગણાય છે. એ સ્થાનમાં કરનાલથી મોટર દ્વારા જઈ શકાય છે.
કૈથલ શહેર ઘણું પ્રાચીન છે. પુરાણોમાં એનો ઉલ્લેખ કપિસ્થલ નામથી કરવામાં આવ્યો છે. કપિસ્થલ એટલે વાનરોનું સ્થાન. એને મહાવીર હનુમાનજીની ભૂમિ પણ કહેવામાં આવે છે. દુર્યોધને પાંડવોનો ન્યાયોચિત રાજ્યાધિકાર પચાવી પાડેલો ત્યારે તેને સમજાવવા, ને બની શકે તો, સંભવિત મહાયુદ્ધને અટકાવવા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને દૂત તરીકે મોકલેલા, તે વખતે પાંડવો માટે ભગવાને જે પાંચ ગામોની નિષ્ફળ માંગણી કરેલી તેમાં, કહે છે કે, કપિસ્થલનો સમાવેશ કરવામાં આવેલો.
ચંડીસ્થાન : અહીં ચંડીદેવીનું મંદિર છે.
કેદારતીર્થ : એને ‘વૃદ્ધકેદાર’ તીર્થ પણ કહેવામાં આવે છે. એ શહેરની બાજુમાં એક વિશાળ સરોવર આવેલું છે. ત્યાં સાત શિવાલય છે.
નવગ્રહકુંડ : આ કુંડમાં સ્નાન કરીને નવગ્રહોનું વિધિપૂર્વક પૂજન કરી, ગ્રહોની શાંતિ કરવાની પ્રથા ચાલી આવે છે.
કુલોત્તારણતીર્થ : કૈથલથી ત્રણ માઈલ દૂર ઉત્તરમાં છે. ત્યાં જે ગામ છે તે પણ કુલોત્તારણ કહેવાય છે. એ સરોવરને પાકા ઘાટ બાંધેલા છે.
સૂરજકુંડ અથવા સકરતીર્થ : એ સ્થાનમાં સરોવર ને મંદિર છે. એ સ્થાન, કૈથલથી ત્રણેક માઈલ દૂર શેરગઢ ગામમાં છે. કાર્તિકસ્વામીનો જન્મ ત્યાં થયેલો કહેવાય છે. એટલે યાત્રીઓ ત્યાં સ્નાન કરી, ભગવાન શંકરની ને કાર્તિકસ્વામીની પૂજા કરી, અંજલિ ધરે છે.
ધનજન્મ : કૈથલથી બે માઈલ દૂર દૂધખેડી નામે ગામમાં આવેલું આ તીર્થસ્થાન નારદજીના જીવન સાથે સંકળાયેલું છે. એ સ્થળમાં નારદજીને વિષ્ણુ ભગવાનના દર્શનનો લાભ મળવાથી એમનું જીવન ધન્ય બનેલું. એને લીધે એ સ્થળ ધનજન્મના નામથી ઓળખાય છે.
આપગા : કૈથલથી બે માઈલ દૂરના ગાધડી ગામમાં સરોવર છે. જૂની જમાનામાં કુરુક્ષેત્રની સાત પવિત્ર નદીઓમાંની એક નદી આપગા ત્યાં થઈને વહેતી હતી. ત્યાં શ્રાવણ વદી ચૌદસને દિવસે મેળો ભરાય છે.
સપ્તર્ષિકુંડ : એ સ્થળે બ્રહ્મા તથા સપ્તર્ષિએ યજ્ઞ કરેલા. એથી એને બ્રહ્મડબર કહે છે. આ જગ્યા કૈથલથી દોઢેક માઈલ દૂર આવેલા શિલખેડી ગામમાં છે.