તમારું શરણ સદા સુખકારી.
શાંતિપ્રદાયક, મંગલકારક, પ્રકાશમય ગુણકારી ... તમારું
સંકટને તે શાંત કરી દે, ભ્રમણા ભાગે ભારી,
રોદનને આનંદે ભરી દે, વિષાદને દે મારી ... તમારું
આગ હૃદયની શાંત કરી દે, સુધા વરસતાં ન્યારી,
તૃષા મટાડે આર્ત પ્રાણની, જીવન પંથ ઉજાળી ... તમારું.
હરેક સ્થળ ને હરેક કાળે એની છે બલિહારી,
‘પાગલ’ પ્રાણ તમારી ઉપર જાય સદાયે વારી ... તમારું.
- શ્રી યોગેશ્વરજી